21 October, 2024 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચ બાદ ટૉમ લૅથમ સાથે વાતચીત કરતો રોહિત શર્મા.
બૅન્ગલોર ટેસ્ટમાં હાર બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું હતું કે ટેસ્ટક્રિકેટ પ્રત્યે ટીમના આક્રમક અભિગમમાં કોઈ ફેરફાર થશે નહીં. પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ અને રિષભ પંત અંગે પણ રસપ્રદ વાતો કરી હતી. ચાલો જાણીએ કે ભારતીય કૅપ્ટને પત્રકારો સામે શું કહ્યું હતું...
મેં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં ભૂલ કરી હતી, પરંતુ વિચાર્યું નહોતું કે ભારતીય ટીમ ૪૬ રનમાં આઉટ થઈ જશે.
અમે એક મૅચ કે એક સિરીઝના આધારે અમારી માનસિકતા બદલતા નથી. ટેસ્ટ મૅચ હારવાના ડરથી અમે અમારી માનસિકતા બદલવાના નથી. અમે સિરીઝમાં કોઈ પણ ડર વિના રમીશું.
વર્ષની શરૂઆતમાં અમે ઇંગ્લૅન્ડ સામે એક મૅચ હાર્યા બાદ ચાર મૅચ જીત્યા છીએ. અમે જાણીએ છીએ કે દરેક ખેલાડીએ શું કરવાનું છે.
છેલ્લા દિવસની ત્રણ કલાકની રમતથી ટીમ અને ક્રિકેટરોનું મૂલ્યાંકન કરવું અયોગ્ય છે. ટીમમાં સકારાત્મક વાતાવરણ જાળવવું અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. શુભમન ગિલના સ્થાને ટીમમાં આવીને સરફરાઝ ખાને તકનો ફાયદો ઉઠાવ્યો. આ ટીમ માટે એક સારો સંકેત છે. ગિલ અત્યારે ઠીક છે અને બીજી ટેસ્ટ માટે તેની ઉપલબ્ધતા અંગે પુણેમાં નિર્ણય લેવામાં આવશે. પંત અંગે અમારે વધુ સાવચેત રહેવું પડશે, કારણ કે જે પગમાં તેની સર્જરી થઈ હતી એમાં જ તેને ઈજા થઈ હતી.