01 July, 2024 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય શાહ
T20માં જીત બાદ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહની ભવિષ્યવાણી સોશ્યલ મીડિયા પર યાદ કરવામાં આવી રહી છે જેમાં તેમણે રોહિતની કૅપ્ટન્સીમાં બાર્બેડોઝના મેદાન પર તિરંગો લગાવવાનો દાવો કર્યો હતો. જય શાહે આ ભવિષ્યવાણી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફેબ્રુઆરીમાં રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમૅચ પહેલાં કરી હતી. જય શાહ SCA સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ કરવાના પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે એ સમયે કહ્યું હતું કે ‘ભારત સતત ૧૦ મૅચ જીતવા છતાં ૨૦૨૩માં ODI વર્લ્ડ કપ જીતી શક્યું નહોતું, પરંતુ અમે દિલ જીતી લીધાં હતાં. હું વચન આપું છું કે ૨૦૨૪માં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં અમે બાર્બેડોઝમાં ભારતીય ધ્વજ લગાવીશું.’ ખરેખર ૨૯ જૂને બાર્બેડોઝમાં આ ઘટનાની સાક્ષી આખી દુનિયા બની હતી.
ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહનું કર્યું નવું નામકરણ રવિ શાસ્ત્રીએ
રવિ શાસ્ત્રીએ ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહને નવું નામ આપ્યું છે. ૨૦૨૩માં વર્લ્ડ કપ હારી ગયા બાદ દરેક વ્યક્તિ જય શાહના સ્ટેટમેન્ટની રાહ જોઈ રહ્યું હતું. થોડા સમય પહેલાં તેમણે ભવિષ્યવાણી કરી હતી કે રોહિત શર્મા T20 વર્લ્ડ કપ જીતશે. શનિવારે આ વાત સાચી પડતાં રવી શાસ્ત્રીએ તેમને જય ‘નૉસ્ટ્રડમસ’ શાહ કહ્યું હતું. નૉસ્ટ્રડમસ એક ફ્રેન્ચ ઍસ્ટ્રોલૉજર હતો. તેના નામ પરથી ભવિષ્ય ભાખનારને ‘નૉસ્ટ્રડમસ’ કહેવામાં આવે છે. આ વિશે રવિ શાસ્ત્રીએ ટ્વીટ કર્યું હતું કે ‘જય શાહ અદ્ભુત. તમારું નામ હવે જય ‘નૉસ્ટ્રડમસ’ શાહ છે. તમે ચાર મહિના પહેલાં રોહિત શર્માને કૅપ્ટન તરીકે પસંદ કર્યો હતો અને એ સમયે ભવિષ્ય શું હશે એ કહ્યું હતું અને આજે એ સાચું પડ્યું છે.’