03 July, 2024 11:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
ભારતીય ક્રિકેટ બોર્ડે ઝિમ્બાબ્વે સામેની પાંચમાંથી પહેલી બે T20 ઇન્ટરનૅશનલ મૅચ માટે ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. બેરિલ વાવાઝોડાને કારણે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝમાં અટવાઈ ગઈ હોવાથી સંજુ સૅમસન, યશસ્વી જાયસવાલ અને શિવમ દુબે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે મોડા પહોંચશે. સ્વદેશ પરત ફર્યા બાદ પણ તેમણે વર્લ્ડ ચૅમ્પિયન ટીમના અન્ય સભ્યો સાથે વિવિધ કાર્યક્રમોમાં સામેલ થવું પડી શકે છે. એથી તેમના સ્થાને વિકેટકીપર-બૅટર સાઈ સુદર્શન અને જિતેશ શર્મા તથા ફ્લાઇંગ કિસ સેલિબ્રેશનને કારણે ચર્ચામાં આવેલા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને પહેલી બે મૅચ માટે ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
સુદર્શન હાલમાં લંડનમાં ધ ઓવલ ખાતે સરે ટીમ માટે કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. તે તરત જ હરારે જવા રવાના થાય એવી અપેક્ષા છે. ફાસ્ટ બોલર ખલીલ અહમદ અને બૅટ્સમૅન રિન્કુ સિંહ, જેઓ T20 વર્લ્ડ કપ ટીમ સાથે રિઝર્વ પ્લેયર તરીકે ગયા હતા તેઓ પણ હાલમાં બાર્બેડોઝમાં છે. આ બન્ને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય સ્ક્વૉડમાં હોવા છતાં પણ ક્રિકેટ બોર્ડે તેમના સ્થાનની જાહેરાત કરી નથી. એવી શક્યતા છે કે તેઓ ૬ જુલાઈ પહેલાં જિતેશ શર્મા અને હર્ષિત રાણા સાથે હરારે જવા રવાના થઈ જશે. ૬ જુલાઈથી ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ શરૂ થશે.