15 July, 2024 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંશુમાન ગાયકવાડ
પહેલાં સંદીપ પાટીલ અને પછી કપિલ દેવે પોતાના ભૂતપૂર્વ સાથી ખેલાડી અંશુમાન ગાયકવાડની મદદ માટે શરૂ કરેલું અભિયાન સફળ થઈ રહ્યું છે. બન્ને ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ કરેલી ઇમોશનલ અપીલને માન આપીને ભારતીય ક્રિકેટ બોર્ડે કૅન્સર-પીડિત અંશુમાન ગાયકવાડની સારવાર માટે ૧ કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ ગાયકવાડ હાલમાં લંડનની કિંગ્સ કૉલેજ હૉસ્પિટલમાં બ્લડ-કૅન્સરની સારવાર કરાવી રહ્યા છે.
ભારતીય બોર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સચિવ જય શાહે બોર્ડને કૅન્સર સામે ઝઝૂમી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડને નાણાકીય સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક ૧ કરોડ રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો છે. જય શાહે ગાયકવાડના પરિવાર સાથે પણ વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.