Arjuna Awards: મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓ અર્જુન એવૉર્ડ એનાયત, આ 2 સ્ટાર પ્લેયર્સને ખેલ રત્ન

09 January, 2024 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને મંગળવારે એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કારો (Arjuna Award)થી સન્માનિત કરવામાં આવ્યા હતા

મોહમ્મદ શમીની ફાઇલ તસવીર

ભારતના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને મંગળવારે એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કારો (Arjuna Award)થી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં ક્રિકેટર મોહમ્મદ શમી (Mohammed Shami) તાળીઓના ગડગડાટ વચ્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા હતા, જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવૉર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવ્યો છે, જ્યારે સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીને અર્જુન એવૉર્ડ (Arjuna Award)થી સન્માનિત કરવામાં આવ્યો છે. આ વખતે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

બેડમિન્ટન ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને 2023માં તેમના શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે 2023માં એશિયન ગેમ્સમાં બેડમિન્ટનમાં પોતાનો અને દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય એશિયન ચેમ્પિયનશિપ અને ઇન્ડોનેશિયા ઓપન સુપર 1000નું ટાઇટલ પણ જીત્યું હતું. પુરુષોની જોડી હાલમાં મલેશિયા ઓપન સુપર 1000માં રમી રહી છે અને તેથી સમારોહમાં હાજરી આપી ન હતી.

હોકી મહાન મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સામાન્ય રીતે 29 ઑગસ્ટે યોજાતો સ્પોર્ટ્સ એવૉર્ડ સમારોહ, ગયા વર્ષે 23 સપ્ટેમ્બરથી 8 ઑક્ટોબર દરમિયાન યોજાયેલી હાંગઝોઉ એશિયન ગેમ્સને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં 26 ખેલાડીઓ અને પેરા-એથ્લેટ્સને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શમી વર્લ્ડ કપમાં ટીમનો હીરો

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Arjuna Award)એ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ 2023માં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. 33 વર્ષનો અનુભવી ઝડપી બોલર શમી હાલ પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ કારણોસર તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી રમી શક્યો ન હતો, પરંતુ હવે તે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની હોમ ટેસ્ટ શ્રેણીમાં રમે તેવી અપેક્ષા છે.

ખેલ રત્ન વિજેતાઓને 25 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, જ્યારે અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારોમાં 15 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તાજેતરમાં ચેસ ગ્રાન્ડમાસ્ટર બનેલી આર વૈશાલીને પણ અર્જુન એવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તે સ્ટાર ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદની મોટી બહેન છે.

કોનેરુ હમ્પી અને દ્રોણવલ્લી હરિકા પછી ગ્રાન્ડ માસ્ટર બનનાર વૈશાલી દેશની ત્રીજી મહિલા ખેલાડી છે. યુવા સ્ટાર પિસ્તોલ શૂટર 19 વર્ષની ઈશા સિંહ પણ જકાર્તામાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભાગ લેવાના કારણે સમારોહમાં હાજર રહી શકી ન હતી. તેણે સોમવારે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં વ્યક્તિગત અને ટીમ ગોલ્ડ જીતીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.

mohammed shami cricket news badminton news droupadi murmu india arjuna award sports news