સોલર પૅનલથી ચાલતી સાઇકલ પર યાત્રા કરીને આ IIT ગ્રૅજ્યુએટ લોકોને સૌરઊર્જાનું મહત્ત્વ સમજાવે છે

23 June, 2024 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ ૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય સ્તરની સન ટ્રિપ ટૂરમાં સામેલ થનારા પ્રથમ ભારતીય બન્યા હતા.

સોલર પૅનલથી ચાલતી સાઇકલ

લોકોને સૌરઊર્જાનું મહત્ત્વ સમજાવીને પર્યાવરણને બચાવવાના હેતુથી એક IIT ગ્રૅજ્યુએટે અનોખી પહેલ કરી છે. ૨૦૧૩માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) બૉમ્બેમાંથી રિન્યુએબલ એનર્જીમાં ગ્રૅજ્યુએટ થયેલા સુશીલ રેડ્ડીએ સોલર પૅનલથી ચાલતી સાઇકલ પર ૭૦૦૦થી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું છે. તેમનું કહેવું છે કે ઘણા ભારતીયો સૌરઊર્જાની અજાયબીઓ વિશે નથી જાણતા એટલે જ તેમણે ‘સનપેડલ રાઇડ’ શરૂ કરી હતી. તેમની આ બાઇક પર સોલર પૅનલ લગાવવામાં આવી છે અને એમાં લાગેલી બૅટરી સોલર પૅનલનો ઉપયોગ કરીને બાઇક ચાર્જ કરે છે.
સુશીલ રેડ્ડીએ ૭૯ દિવસમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં સોલર એનર્જીથી ચાલતી સાઇકલ પર સફર કરીને લોકોને જાગ્રત કર્યા હતા. તેમણે એ દરમ્યાન લોકોને સમજાવ્યા હતા કે સોલરની શક્તિ ફિઝિકલ એફર્ટને ૫૦ ટકા ઘટાડી નાખે છે. રસપ્રદ વાત એ છે કે સુશીલ રેડ્ડીએ પોતાની ઈ-સાઇકલ પર લાંબી મજલ કાપીને બે વખત વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. સૌરઊર્જાથી ચાલતી સાઇકલ પર સૌથી લાંબી મુસાફરી કર્યા બાદ તેમને લિમકા બુક ઑફ રેકૉર્ડ્સ અને ત્યાર બાદ ગિનેસ બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. એ ઉપરાંત તેઓ ૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય સ્તરની સન ટ્રિપ ટૂરમાં સામેલ થનારા પ્રથમ ભારતીય બન્યા હતા.

offbeat news iit bombay life masala