ભીષ્મપ્રતિજ્ઞા લેનારા IIT-બૉમ્બેના પ્રોફેસર ચેતન સોલંકી ફાઇવસ્ટાર હોટેલમાં ફાટેલાં મોજાં પહેરેલા જોવા મળ્યા

03 October, 2024 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાના અભિયાનની સાથે-સાથે પ્રોફેસર ચેતન સિંહે સૌરઊર્જાને પ્રોત્સાહન આપવા માટે ૨૦ રાજ્યમાં ૪૩,૦૦૦ કિલોમીટરથી વધુની યાત્રા પણ કરી છે.

IIT-બૉમ્બેના પ્રોફેસર ચેતન સોલંકી

૧૧ વર્ષ સુધી ઘરે પાછા નહીં ફરવાની ભીષ્મપ્રતિજ્ઞા લેનારા IIT-બૉમ્બેના પ્રોફેસર ચેતન સોલંકી ફાઇવસ્ટાર હોટેલમાં ફાટેલાં મોજાં પહેરેલા જોવા મળ્યા

સોલર એનર્જીનો વધુ ને વધુ ઉપયોગ થાય અને કુદરતી સંસાધનોનો ઓછામાં ઓછો વેડફાટ થાય એ માટે ૨૦૨૦માં ઘરેથી સોલર સંચાલિત બસમાં જાગૃતિ મિશન પર દેશભ્રમણ કરવા નીકળેલા IIT-બૉમ્બેના પ્રોફેસર ચેતન સોલંકી ગયા અઠવાડિયે ‘ધી ઇકૉનૉમિક ટાઇમ્સ એનર્જી લીડરશિપ સમિટ’માં ભાગ લેવા દિલ્હી ગયા હતા. ત્યાં એક ફાઇવસ્ટાર હોટેલની લાઉન્જમાં લૅપટૉપ પર કામ કરતા હતા ત્યારે તેમણે પહેરેલાં મોજાં ફાટેલાં જોવા મળ્યાં હતાં. 

વિશ્વભરમાં કચરાનો બેફામ ખડકલો થઈ રહ્યો છે ત્યારે પ્રોફેસર ચેતન સોલંકીએ ઓછામાં ઓછી ચીજોનો વપરાશ કરીને મિનિમલિઝમ અપનાવ્યું છે. સાથે જ સેંકડો ગામોમાં સૌરઊર્જાથી ઉજાસ ફેલાવનારા પ્રોફેસરને સોલર ગાંધી અને સોલર મૅન ઑફ ઇન્ડિયાનું બિરુદ મળ્યું છે. તેમનાં ફાટેલાં મોજાંની તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં તેમણે સોશ્યલ મીડિયામાં એનો જવાબ આપતાં લખ્યું હતું, ‘દિલ્હીની હયાત હોટેલમાં ધી ઇકૉનૉમિક ટાઇમ્સ એનર્જી લીડરશિપ સમિટમાં હું મારી સ્પીચ આપું એ પહેલાં જ કોઈકે ચૂપચાપ આ તસવીર ખેંચી લીધી. મારાં ફાટેલાં મોજાં દેખાઈ ગયાં! મારે એ બદલવાનાં છે. એ હું ચોક્કસ કરીશ, હું એ અફૉર્ડ કરી જ શકું છું, પણ કુદરત અફૉર્ડ કરી શકે એમ નથી, કેમ કે કુદરતમાં બધું જ લિમિટેડ હોય છે.’

પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાના અભિયાનની સાથે-સાથે પ્રોફેસર ચેતન સિંહે સૌરઊર્જાને પ્રોત્સાહન આપવા માટે ૨૦ રાજ્યમાં ૪૩,૦૦૦ કિલોમીટરથી વધુની યાત્રા પણ કરી છે. તેઓ સસ્ટેનેબિલિટીના ટૉપિક પર ભાષણ જ નથી આપતા, પણ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ જીવનમાં વણી લીધી છે.

environment mumbai iit bombay offbeat news news life masala