06 July, 2024 01:38 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ચમત્કાર
ઉત્તર પ્રદેશના આગરા-દેવરી રોડ પર આવેલા હરિકન્ના ગામમાં અંધશ્રદ્ધાનો એક નવો ‘ચમત્કાર’ જોવા મળ્યો છે. તાજેતરમાં આ ગામવાસીઓને બાલદીમાં ભરેલા પાણીની અંદર હનુમાનજીની મૂર્તિ જાતે જ પ્રગટ થયેલી જોવા મળી અને બસ પછી તો એ જોવા માટે ભારે ભીડ ઊમટી પડી હતી. લોકો ઢોલક-મંજીરા લઈને એ બાલદીની ફરતે ભજન-કીર્તન કરવા માંડ્યા. જોકે પાણીમાં આ આકૃતિ કઈ રીતે બની, કોઈએ બનાવી કે એમાં કોઈ ચીજ નાખી છે એની કોઈને ખબર નથી. ગામવાસી સત્યેન્દ્ર ફોજદારના કહેવા મુજબ ગામના હનુમાનજીના મંદિર પરિસરમાં એક બાલદી મુકાયેલી હતી. વરસાદના પાણીથી એ બાલદી ભરાઈ ગઈ. જ્યારે પૂજારી એ બાલદીનું પાણી ઢોળવા ગયા ત્યારે તેમને એમાં હનુમાનજીની આકૃતિ દેખાઈ. આ છબિ જોઈને તેઓ ભાવવિભોર થઈ ગયા. પછી તો ગામના લોકો રામનામના જાપ અને હનુમાન ચાલીસાનું રટણ કરવા માંડ્યા.