18 May, 2024 01:42 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાળઝાળ ગરમીમાં ભલભલા તંદુરસ્ત માણસના પસીના છૂટી જાય છે એવામાં ઉત્તર પ્રદેશમાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી માત્ર પાંચ દિવસની બાળકીનું મૃત્યુ થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે ડૉક્ટરે જ આ બાળકીને ૪૨ ડિગ્રી ટેમ્પરેચરમાં મૂકવાની સલાહ આપી હતી. મૈનપુરીમાં આવેલી શ્રી સાંઈ હૉસ્પિટલમાં રીટા નામની મહિલાએ C-સેક્શનથી એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકી જન્મી ત્યારથી જ તેને કૉમ્પ્લીકેશન્સ હતાં એટલે ડૉક્ટરોએ બાળકીને દરરોજ અડધો કલાક તડકામાં રાખવાની સલાહ આપી હતી.
ડૉક્ટરનું માનીને પરિવારે હૉસ્પિટલની ટેરેસ પર બાળકીને સવારે ૧૧.૩૦ વાગ્યે તડકામાં મૂકી હતી. અડધો કલાક થઈ ગયા બાદ તેઓ બાળકીને નીચે લઈ આવ્યા, પણ તાપ સહન ન થવાને લીધે માસૂમ બાળકી થોડા જ સમયમાં મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.