03 September, 2024 12:49 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
પત્ની અને બન્ને દીકરી જીવતી છે, તો દફનાવ્યાં કોને?
છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં ગૃહક્લેશને કારણે ગયા વર્ષે ઑગસ્ટમાં ૩૮ વર્ષની રાબિયા ૬ અને ૩ વર્ષની બે દીકરીને લઈને ૪૫ વર્ષના પતિ અબુલ હસનનું ઘર છોડીને ચાલી ગઈ હતી. પતિએ તેઓ ગુમ થયાં હોવાની પોલીસને જાણ કરી હતી. અઠવાડિયા પછી ૧૪ ઑગસ્ટે રાયગડ પોલીસને દેહજરી નદીમાં મહિલા અને બે પુત્રીના મૃતદેહ મળ્યા હતા. એ પત્ની અને પુત્રીઓ હોવાનું અબુલ હસને કહેતાં ત્રણેય મૃતદેહ તેને સોંપી દેવાયા હતા. દુખી અબુલે ત્રણેયની દફનવિધિ કરી નાખી હતી. એ દરમ્યાન કહાની મેં ટ્વિસ્ટ એવો આવ્યો કે રાબિયા ઘર છોડીને રાજસ્થાન જતી રહી હતી, પરંતુ આર્થિક સંકડામણને કારણે ઝારખંડ રહેતાં તેનાં માતાપિતા પાસે પહોંચી ગઈ હતી. આ વર્ષે જુલાઈમાં પત્ની અને બંને દીકરી જીવતાં છે એ વાતની અબુલને જાણ થઈ ત્યારે તે ચકિત રહી ગયો. પરિવાર ફરીથી સાથે રહેવા લાગ્યો. હવે પોલીસને પણ આ વાતની ખબર પડી છે અને એણે હવે દફનાવાયેલા ત્રણેયની ઓળખ માટેની કાર્યવાહી શરૂ કરી છે.