ભગવાનની મૂર્તિ ચોર્યા પછી દીકરો બીમાર પડ્યો એટલે ચોર મૂર્તિ પાછી મૂકી ગયો, માફીપત્ર પણ લખ્યો

04 October, 2024 06:52 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ચોરે રાધાકૃષ્ણ મંદિરમાંથી અષ્ટ ધાતુની પ્રતિમાની ચોરી કરી હતી. ચોરે મૂર્તિ ચોરતાં તો ચોરી લીધી, પણ પછી તેને બહુ ખરાબ-ખરાબ સપનાં આવવા માંડ્યાં. તેનો દીકરો માંદો પડી ગયો.

મૂર્તિ અને માફીપત્ર

અગોચર જગતની વાત સામાન્ય માણસ માટે સમજવી બહુ અઘરી હોય છે. પ્રયાગરાજના એક ચોરને પણ અગોચર વિશ્વનો અનુભવ થયો છે. ચોરે રાધાકૃષ્ણ મંદિરમાંથી અષ્ટ ધાતુની પ્રતિમાની ચોરી કરી હતી. ચોરે મૂર્તિ ચોરતાં તો ચોરી લીધી, પણ પછી તેને બહુ ખરાબ-ખરાબ સપનાં આવવા માંડ્યાં. તેનો દીકરો માંદો પડી ગયો. ચોર સંકેત સમજી ગયો અને ભૂલ પણ સમજી ગયો. તેણે મંદિરથી થોડે દૂર હાઇવે પાસે મૂર્તિ મૂકી દીધી અને સાથે માફીપત્ર પણ લખ્યો હતો. ભૂલ કબૂલતાં ચોરે લખ્યું હતું, ‘મહારાજજી પ્રણામ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. અજ્ઞાનતાને કારણે મેં ગૌ ઘાટ પરથી રાધાકૃષ્ણની મૂર્તિ ચોરી લીધી હતી. પછીથી બહુ ખરાબ સપનાં આવે છે, મારા દીકરાની તબિયત બગડી ગઈ છે. થોડા પૈસા માટે મેં ગંદું કામ કર્યું છે. વેચવા માટે મેં મૂર્તિ સાથે ચેડાં પણ કર્યાં છે. હું ભૂલની ક્ષમા માગીને મૂર્તિ અહીં મૂકું છે. મને માફ કરજો અને ભગવાનને પાછા મંદિરમાં મૂકી દેજો.’ મૂર્તિ પુનઃ સ્થાપિત કરી દેવાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

uttar pradesh news natioanl news offbeat news social media