05 February, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીદેવી
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સીબીઆઇએ અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ મામલે એક કથિત ઇન્વેસ્ટિગેટર સામે ચાર્જશીટ ફાઇલ કરી છે. કથિત મહિલા ઇન્વેસ્ટિગેટરે અભિનેત્રીના મૃત્યુ સંબંધિત એક યુટ્યુબ વિડિયોમાં પોતાના દાવાનું સમર્થન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સહિતના ઉચ્ચ મહાનુભવોનાં બનાવટી પત્રો રજૂ કર્યાં હતાં. સીબીઆઇએ ગયા વર્ષે મુંબઈસ્થિત વકીલ ચાંદની શાહની ફરિયાદને પગલે ભુવનેશ્વરસ્થિત દીપ્તિ આર. પિન્નીતિ અને તેના વકીલ ભરત સુરેશ કામથ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. શાહે એવો આક્ષેપ કર્યો હતો કે પિન્નીતિએ વડા પ્રધાન અને સંરક્ષણપ્રધાનનાં પત્રો, સુપ્રીમ કોર્ટ સંબંધિત દસ્તાવેજો અને યુએઈ સરકારના રેકૉર્ડ્સ સહિત ઘણા બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. પિન્નીતિ શ્રીદેવી અને સુશાંત સિંહ રાજપૂત જેવા કલાકારોનાં મૃત્યુ વિશે સોશ્યલ મીડિયા ચર્ચાઓમાં સક્રિય રહી છે. પિન્નીતિએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની તપાસના આધારે બે સરકાર વચ્ચેના કવરઅપ સહિતના ચોંકાવનારા દાવા કર્યા હતા.