મનમોહન સિંહના કાર્યકાળમાં સેન્સેક્સ ૪૦૦ ટકા વધ્યો નરેન્દ્ર મોદીના સમયગાળામાં થયો ૨૦૦ ટકાનો વધારો

08 June, 2024 09:47 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

નરસિંહ રાવની પાંચ વર્ષની ટર્મમાં સેન્સેક્સમાં ૧૮૦.૭૬ ટકાનો વધારો થયેલો

નરેન્દ્ર મોદી

દેશમાં કેટલાય વડા પ્રધાન આવ્યા અને ગયા, પણ ભારતના શૅરબજારનો સેન્સેક્સ વધતો રહ્યો છે. જોકે ઘણી વાર એકાએક સેન્સેક્સમાં ઘટાડો થાય છે, સેન્સેક્સ એકાએક નીચાંકે જતો રહે છે પણ સાતત્યથી એ આગળ વધી રહ્યો છે એમાં કોઈ શંકા નથી.

ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રણિત નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ની સરકાર ત્રીજી વખત કેન્દ્રમાં રચાઈ રહી છે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. જોકે ચૂંટણી પૂરી થયા બાદ આવેલા એક્ઝિટ પોલનાં તારણોથી સેન્સેક્સ જોરદાર વધ્યો હતો, પણ મતગણતરીના દિવસે એમાં જોરદાર વૉલેટિલિટી જોવા મળી હતી અને એક સમયે સેન્સેક્સ ૬૦૦૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો.

ભારતનો સૌથી જૂનો બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો સેન્સેક્સ મનમોહન સિંહના ૧૦ વર્ષના કાર્યકાળમાં ૨૦૦૪માં બાવીસ મેથી ૨૦૧૪ની ૨૬ મે સુધીના સમયગાળામાં આશરે ૪૦૦ ટકા વધ્યો હતો. ત્યાર બાદ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ૨૦૧૪થી ૨૦૨૪ સુધી BJPની સંપૂર્ણ બહુમતી ધરાવતી NDAની સરકાર આવી હતી. ૨૦૧૪થી ૨૦૨૪ સુધીનાં મોદીનાં પહેલાં ૧૦ વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સમાં ૨૦૨.૧૬ ટકાનો વધારો થયો છે. હવે મોદી ૯ જૂને ત્રીજી ટર્મમાં સત્તા ગ્રહણ કરશે. જોકે આ વખતે તેમણે બહુમતી માટે બીજા પક્ષો પર આધાર રાખવાનો છે.

૧૯૯૧માં ૨૧ જૂનથી ૧૯૯૬માં ૧૬ મે સુધીનાં પાંચ વર્ષમાં વડા પ્રધાન નરસિંહ રાવના સમયગાળામાં સેન્સેક્સમાં ૧૮૦.૭૬ ટકાનો વધારો થયો હતો. તેમણે દેશમાં આર્થિક સુધારા કર્યા હતા.
જોકે ૧૯૯૬માં ૧૬ મેથી પહેલી જૂન વચ્ચેની ૧૩ દિવસની વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં સેન્સેક્સ ઘટ્યો હતો.

share market sensex narendra modi manmohan singh national news india