મહુઆ સંસદમાંથી આઉટ, બોલવાની તક કેમ ન મળી?

09 December, 2023 11:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તૃણમૂલ કૉન્ગ્રેસનાં આ લીડરની લોકસભામાંથી હકાલપટ્ટી કરતી દરખાસ્ત પસાર, તેમને ગૃહમાં બોલવા દેવાની છૂટ પણ નહોતી અપાઈ

નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદભવનમાં કૉન્ગ્રેસનાં લીડર સોનિયા ગાંધી અને મહુઆ મોઇત્રા તેમ જ વિરોધ પક્ષોના અન્ય લીડર્સ

તૃણમૂલ કૉન્ગ્રેસનાં આ લીડરની લોકસભામાંથી હકાલપટ્ટી કરતી દરખાસ્ત પસાર, તેમને ગૃહમાં બોલવા દેવાની છૂટ પણ નહોતી અપાઈ, સ્પીકરે ઑબ્ઝર્વ કર્યું હતું કે ૨૦૦૫માં એ સમયના સ્પીકર ચૅટરજીએ આવા જ આરોપોનો સામનો કરનારા લોકસભાના ૧૦ સભ્યોને ગૃહમાં બોલવા દેવાની છૂટ નહોતી આપી

કૅશ અને ગિફ્ટ્સ લઈને સંસદમાં સવાલો પૂછવાના મામલે ખૂબ જ વિવાદ બાદ આખરે તૃણમૂલ કૉન્ગ્રેસનાં લીડર મહુઆ મોઇત્રાની ગઈ કાલે લોકસભામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. સંસદમાં એક બિઝનેસમૅનના હિતમાં સવાલો પૂછવા માટે તેની પાસેથી કૅશ અને ગિફ્ટ્સ લેવા બદલ તેને દોષી ગણાવતાં એથિક્સ કમિટીના રિપોર્ટને લોકસભાએ પસાર કર્યો હતો. આ કમિટીના રિપોર્ટ પર ઉગ્ર વાતચીત દરમ્યાન મોઇત્રાને બોલવાની છૂટ નહોતી આપવામાં આવી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્‍લાદ જોશીએ તૃણમૂલ કૉન્ગ્રેસનાં આ લીડરની હકાલપટ્ટી કરવા માટેની દરખાસ્ત રજૂ કરી હતી, જેને ધ્વનિમતથી પસાર કરવામાં આવી હતી.

તૃણમૂલ કૉન્ગ્રેસ અને વિપક્ષોના અન્ય મેમ્બર્સે ડિમાન્ડ કરી હતી કે મોઇત્રાને તેની વાત ગૃહમાં રજૂ કરવાની છૂટ આપવામાં આવે. જોકે સ્પીકર ઓમ બિરલાએ ભૂતકાળના ઉદાહરણનો ઉલ્લેખ કરીને એ ડિમાન્ડ ફગાવી દીધી હતી. બિરલાએ ઑબ્ઝર્વ કર્યું હતું કે ૨૦૦૫માં એ સમયના સ્પીકર સોમનાથ ચૅટરજીએ લોકસભાના ૧૦ સભ્યોને ગૃહમાં બોલવા દેવાની છૂટ નહોતી આપી. આ લોકો પર સવાલો પૂછવા બદલ કૅશ લેવાનો આરોપ હતો.

જોશીએ કહ્યું હતું કે ‘એથિક્સ કમિટી દ્વારા પૂરી ચર્ચા કરવામાં આવી છે. સમિતિએ પોતાનો રિપોર્ટ સંસદ સમક્ષ રજૂ કર્યો છે. હું પૂરી જવાબદારીની સાથે કહું છું કે આ જ ગૃહમાં પશ્ચિમ બંગાળના સોમનાથ ચૅટરજી જ્યારે સ્પીકર હતા ત્યારે જ દસ લોકોને કૅશ લઈને સવાલો પૂછવાના મામલે બરતરફ કરવામાં આવ્યા હતા. આ મામલે જ્યારે એ દસ જણને પોતાનો પક્ષ રજૂ કરવા દેવામાં આવે એવી માગણી કરાઈ હતી. એ સમયે સોમનાથ ચૅટરજીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ લોકો તપાસ-કમિટી સમક્ષ હાજર થયા હતા, તેમની પૂછપરછ થઈ છે. કમિટીએ ચર્ચા કરીને તારણ આપ્યું છે. હવે તેમને આ ગૃહમાં બોલવાનો કોઈ અધિકાર નથી.’

 આ કમિટીએ દરેક નિયમ તોડ્યો છે. આવતી કાલે મને હૅરૅસ કરવા માટે મારા ઘરે સીબીઆઇને મોકલવામાં આવશે. કૅશ કે ગિફ્ટ્સ લીધી હોવાનો કોઈ જ પુરાવો નથી. બરતરફનો એકમાત્ર આધાર એક જ છે કે મેં લોકસભા પોર્ટલમાં મારા લૉગ-ઇનની વિગતો શૅર કરી છે. લૉગ-ઇનની વિગતો શૅર કરવાના સંબંધમાં કોઈ નિયમો નથી. જો મોદી સરકાર વિચારતી હોય કે મને ચુપ કરીને તેઓ અદાણીના મુદ્દે ઇચ્છે એ કરશે તો હું કહેવા ઇચ્છું છું કે પ્રક્રિયાના દુરુપયોગે આખા દેશને બતાવ્યું છે કે ગૌતમ અદાણી તમારા માટે કેટલા મહત્ત્વના છે. સીબીઆઇ અને ઈડી શા માટે અદાણી દ્વારા થયેલા કોલસા-કૌભાંડની તપાસ નથી કરતી.’ : મહુઆ મોઇત્રા, તૃણમૂલ કૉન્ગ્રેસનાં લીડર

હીરાનંદાની પાસેથી લાંચ લેવાનો આરોપ

મહુઆ પર બિઝનેસમૅન દર્શન હીરાનંદાની પાસેથી સંસદમાં નરેન્દ્ર મોદી સરકારને ઘેરવા માટેના સવાલોના બદલામાં બે કરોડ રૂપિયાની કૅશ અને લક્ઝરી ગિફ્ટ આઇટમ્સ સહિતની લાંચ લેવાનો આરોપ હતો. મહુઆ પર સંસદીય વેબસાઇટ પર સીક્રેટ અકાઉન્ટના લૉગ-ઇનની વિગતો હિરાનંદાનીને આપવાનો પણ આરોપ હતો. હીરાનંદાની પોતે જ સીધા સવાલો પૂછી શકે એ માટે આ લૉગ-ઇન વિગતો તેમને આપવામાં આવી હતી. મોદી સરકારની વિરોધી મહુઆએ લાંચ લેવાના આરોપને ફગાવી દીધો હતો, પરંતુ લૉગ-ઇનની વિગતો શૅર કરી હોવાનું સ્વીકાર્યું હતું. 

મને સમજાતું નથી કે સંસદસભ્યો કેવી રીતે એથિક્સ કમિટીના ૪૯૫ પેજના રિપોર્ટને અડધા કલાકમાં વાંચી શકે. હું ઇન્ડિયા ગઠબંધનને સંગઠિત રહેવા બદલ અભિનંદન આપું છું. અમે વળતી લડત આપીશું. આ કેસમાં મહુઆ સંજોગોની વિક્ટિમ છે. પાર્ટી સંપૂર્ણપણે મહુઆની સાથે છે. : મમતા બૅનરજી, પશ્ચિમ બંગાળનાં સીએમ

trinamool congress Lok Sabha Rajya Sabha national news