13 October, 2022 09:09 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
કુમાર વિશ્વાસ
ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસ અને બીજેપીના તજિન્દર પાલ સિંહ બગ્ગાની વિરુદ્ધ પંજાબ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા બે અલગ-અલગ એફઆઇઆરને ગઈ કાલે રદ કર્યા હતા. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ સ્ટેટમેન્ટ્સ આપવા બદલ કુમાર અને બગ્ગાની વિરુદ્ધ આ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ અનૂપ ચિતકારાએ કહ્યું હતું કે વિશ્વાસના કેસમાં અદાલત હસ્તક્ષેપ ન કરે તો અન્યાય થાય, જ્યારે બગ્ગાની સામે અપરાધિક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવે તો એ ન્યાયની પ્રક્રિયાનો દુરુપયોગ થાય. કેજરીવાલની વિરુદ્ધ ‘જ્વલનશીલ સ્ટેટમેન્ટ્સ’ બદલ પંજાબમાં રૂપનગર પોલીસ દ્વારા વિશ્વાસની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વિશે કેજરીવાલના નિવેદન બદલ તેમના નિવાસસ્થાનની બહાર વિરોધ-પ્રદર્શનના પગલે ઉશ્કેરણીજનક નિવેદન કરવા બદલ બગ્ગાની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો.