23 October, 2024 10:54 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ૧૩ ઑક્ટોબરે થયેલી હિંસા બાદ યોગી આદિત્યનાથ સરકારે આરોપીઓનાં ગેરકાયદે બાંધકામોને હટાવવા માટે ત્રણ દિવસનો સમય આપતાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને બુલડોઝર-કાર્યવાહી પર ચેતવણી આપી હતી. આ કેસમાં આજે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે ત્યાં સુધી આવી કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો બાંધકામ ગેરકાયદે હોય તો એને તોડવા સામે સુપ્રીમ કોર્ટ કોઈ વિરોધ નહીં કરે.
અરજદારો વતી સિનિયર ઍડ્વોકેટ સી. યુ. સિંહે જણાવ્યું હતું કે ‘આરોપીઓના પિતા અને ભાઈઓએ સરેન્ડર કરી દીધું છે છતાં તેમના બાંધકામ વિશે ૧૭ ઑક્ટોબરે નોટિસ કાઢવામાં આવી હતી અને ૧૮ ઑક્ટોબરની સાંજે એને ચીપકાવવામાં આવી છે અને ત્રણ દિવસમાં બાંધકામ હટાવવા જણાવવામાં આવ્યું છે. હાઈ કોર્ટમાં આ મુદ્દે રવિવારે સુનાવણી થઈ નહીં હોવાથી અમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.’
આ મુદ્દે જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારને અમારા આદેશનું પાલન નહીં કરવાનું જોખમ લેવું હોય તો તેઓ લઈ શકે છે.