07 April, 2023 12:02 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની અસરોની ખૂબ ચર્ચા ચાલી રહી છે. ચૅટજીપીટી અને બાર્ડ જેવા એઆઇ પાવર્ડ ચૅટબોટ્સથી લોકોની નોકરી છીનવાઈ જશે એવો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ ચૅટબોટ આર્ટિકલ લખી શકે છે, કોડ રિવ્યુ કરી શકે છે અને ટેક્સ્ટ ઇન્પુટ્સના આધારે ઇમેજ બનાવવા સહિત અનેક કામ કરી શકે છે કે જેના માટે અત્યાર સુધી માનવબળની જરૂર પડતી હતી. એટલા માટે જ રાઇટર્સ, સૉફ્ટવેર એન્જિનિયર્સ અને આર્ટિસ્ટ્સની જૉબ ખતરામાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ બધા વચ્ચે ગૂગલના સીઈઓ સુંદર પિચઈએ જણાવ્યું હતું કે ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને લઈને કેટલીક ચિંતાઓ મારા મનમાં પણ છે. બાર્ડ અને ચૅટજીપીટી જેવા જનરેટિવ એઆઇ પ્લૅટફૉર્મ્સની પૉઝિટિવ બાબતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.’
આ પણ વાંચો : પત્ની છોડી જતાં ચૅટબૉટ સાથે કર્યાં લગ્ન
જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે ગૂગલના સૉફ્ટવેર એન્જિનિયર્સની નોકરી ખતરામાં છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ નવી ટેક્નૉલૉજીની સાથે પોતાની જાતને તૈયાર રાખવી જોઈએ.
તેઓ ખૂબ પૉઝિટિવ જોવા મળ્યા હતા. પિચઈએ જણાવ્યું હતું કે ટેક્નૉલૉજીને અપનાવવી ખૂબ જરૂરી છે. એઆઇના મામલે પણ આ વાત લાગુ પડે છે. લોકોએ એઆઇના અનેક સેક્ટર્સમાં ઉપયોગની શક્યતાઓને જાણીને એના વિશે અપડેટ થવાની જરૂર છે. એઆઇના ઉપયોગથી સૉફ્ટવેર એન્જિનિયર્સને મદદ મળશે. તેમને પ્રોગ્રામિંગ દરમ્યાન આવતી મુશ્કેલીઓ સરળ થશે અને પ્રોગ્રામિંગ વધુ સારું થશે. પ્રોગ્રામિંગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ બની શકે છે.’