25 November, 2020 08:50 AM IST | Gujarat | Gujarati Mid-Day Online Correspondent
અહમદ પટેલ
સોનિયા ગાંધીના નજીકના નેતા અને કોંગ્રેસ વરિષ્ઠ નેતા અહમદ પટેલનું નિધન થયું છે. અહમદ પટેલ એક મહિના પહેલા કોરોના વાઈરસની ચપેટમાં આવ્યા હતા. તેમની સારવાર મેદાન્તા હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયાસો બાદ તેને બચાવી શક્યા નહીં. જણાવી દઈએ કે અહમદ પટેલે 1 ઑક્ટોબરે પોતે ટ્વીટ કરીને કોરોના પૉઝિટિવ થવાની જાણકારી આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે બધાને હું આગ્રહ કરું છું કે તેઓ પોતાને આઈસોલેટ કરી લે.
આ માહિતી તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ દ્વારા શૅર કરી છે. તેમણે લખ્યું છે કે ઘણા દુ:ખ સાથે કહેવું પડે છે કે મારા પિતા અહમદ પટેલનું નિધન 25 નવેમ્બરના રોજ 3.30 વાગ્યે અવસાન થયું છે. લગભગ એક મહિના પહેલા તેઓ કોરોના પૉઝિટીવ મળ્યા હતા. બાદ એમની હાલત બગડી ગઈ હતી. એમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. હું બધા શુભેચ્છકોને વિનંતી કરું છું કે કોવિડ -19 પ્રોટોકોટનું પાલન કરો. નોંધનીય છે કે અહમદ પટેલ ઑક્ટોબરના પહેલા સપ્તાહમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા. તબિયત બગડ્યા બાદ તેમને ગુરૂગ્રામ સ્થિત મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે 18 નવેમ્બરે અહમદ પટેલની પુત્રીએ આ જાણકારી શૅર કરી હતી કે એમના પિતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પટેલની પુત્રી મુમતાઝે એક ઑડિયો સંદેશના માધ્યમ દ્વારા જાણકારી આપી હતી.
સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા
ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહમદ પટેલની રાજકીય કારર્કિદી ઘણી લાંબી છે. પટેલ ત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજ્યસભા સદસ્ય રહ્યા હતા. પટેલ પહેલી વખત 1977માં લોકસભા સાંસદ બન્યા. ભરૂચ સંસદીય બેઠક સીટથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 1980ના લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા હતા. 1984ના લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા હતા. 1993માં અહમદ પટેલ રાજ્યસભા સદસ્ય હતા. 2001થી તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર છે. તેઓ સોનિયા ગાંધીની ખૂબ નજીકના નેતા હતા.