વિદેશપ્રધાન જયશંકરે બીબીસીની ડૉક્યુમેન્ટરીના ટાઇમિંગ સામે સવાલો ઉઠાવ્યા

22 February, 2023 11:02 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમને સવાલ કરાયો હતો કે પશ્ચિમી દેશો અને ભારતમાં કેટલાક લોકોને પીએમ મોદી અને ભારતનો સર્વત્ર જયજયકાર પચતો ન હોવાની હકીકત છે

એસ. જયશંકર તસવીર સૌજન્ય મિડ-ડે

નવી દિલ્હીઃ વિદેશપ્રધાન એસ. જયશંકરે ગઈ કાલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીનું ટાઇમિંગ આકસ્મિક નથી. 

ન્યુઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘અમે ડૉક્યુમેન્ટરી કે કોઈ યુરોપિયન સિટીમાં કોઈએ આપેલી સ્પીચ પર ચર્ચા કરતા નથી. અમે રાજકારણની વાત કરી રહ્યા છીએ.

તમે કહો છો કે આ સત્ય માટેની માત્ર એક શોધ હતી જેને તમે ૨૦ વર્ષ બાદ બહાર લાવવા માગો છો. શું તમે માનો છો કે ટાઇમિંગ આકસ્મિક છે? ભારતમાં ચૂંટણીની સીઝન શરૂ થઈ ગઈ હોય તો એનો ખ્યાલ નથી, પરંતુ લંડન અને ન્યુ યૉર્કમાં ચોક્કસ જ એની શરૂઆત થઈ ગઈ છે.’

તેમને સવાલ કરાયો હતો કે પશ્ચિમી દેશો અને ભારતમાં કેટલાક લોકોને પીએમ મોદી અને ભારતનો સર્વત્ર જયજયકાર પચતો ન હોવાની હકીકત છે તો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘તમને એમાં કોઈ શંકા છે? એ તો પથ્થર પર ટીપું-ટીપું પાણી નાખવા જેવું છે. તમે ભારત, સરકાર, બીજેપી અને પીએમની અત્યંત ઉગ્રવાદી ઇમેજને કેવી રીતે રજૂ કરી શકો? છેલ્લાં દસ વર્ષથી એમ ચાલી રહ્યું છે. એ મામલે કોઈ ભ્રમણા ન હોવી જોઈએ.’

national news bbc narendra modi new delhi bharatiya janata party