રિઝર્વ બૅન્કે ફરી વાર વ્યાજના દરને અડવાની હિંમત ન કરી

09 February, 2024 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ફુગાવાને વધુ ઘટાડવાના ઉદ્દેશને નજરમાં રાખીને આરબીઆઇનો નિર્ણય

શશિકાંત દાસ

મુંબઈ (પી.ટી.આઇ.) : વૈ​શ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને​ અને રીટેલ ફુગાવાને ઘટાડીને ચાર ટકા પર લાવવાની આવશ્યકતાને કારણે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગુરુવારે લાગલગાટ છઠ્ઠી વાર વ્યાજદર જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.​રિઝર્વ બૅન્કના નિર્ણયને પરિણામે બૅન્કો અને ફાઇનૅન્શિયલ ઇ​ન્સ્ટિટ્યુશન્સ મહદંશે ધિરાણદર પૂર્વવત્ રાખશે.રિઝર્વ બૅન્કે છેલ્લે ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં વ્યાજદર વધારીને ૬.૫ ટકા કર્યો હતો. આ પહેલાં ૨૦૨૨ના મેથી ૨૦૨૩ના ફેબ્રુઆરી સુધી વ્યાજદરમાં ૨૫૦ બેઝિસ પૉઇન્ટ સુધીનો વધારો કરવામાં ‍આવ્યો હતો.

મૉનિટરી પૉલિસી કમિટીના નિર્ણયની જાહેરાત કરીને રિઝર્વ બૅન્કના ગવર્નર શ​ક્તિકાંત દાસે ગુરુવારે જણાવ્યું હતું કે વર્તમાન અને મૅક્રો-ઇકૉનૉમિક પરિ​સ્થિતિના આધારે વ્યાજદર જાળવી રાખવાનો નિર્ણય કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. રીટેલ ફુગાવાનો ઉલ્લેખ કરીને શ​ક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ચોથા ​ ત્રિમાસિક ગાળાના પાંચ ટકા ફુગાવા સહિત ૨૦૨૩-’૨૪ માટે સીપીઆઇ ફુગાવો ૫.૪ ટકા અંદાજવામાં આવ્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૭.૨ ટકા વૃદ્ધિ સહિત​​​ આગામી નાણાકીય વર્ષ માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ ૭ ટકા અંદાજવામાં આવી છે.

પેટીએમ વારંવારની તાકીદ છતાં નિયમોનું પાલન નહોતી કરતી
મુંબઈ (પી.ટી.આઇ.): રેગ્યુલેટરીની માર્ગદર્શિકાનું સતત પાલન નહીં કરવા બદલ પેટીએમ સામે પગલાં લેવામાં આવ્યાં છે અને સિસ્ટમ વિશે ચિંતાનું કોઈ કારણ નથી, એમ રિઝર્વ બૅન્કે ગુરુવારે જણાવ્યું હતું. પેટીએમને આ બાબતે અવારનવાર તાકીદ કરવામાં આવી હતી. કયા કારણસર પગલાં લેવામાં આવ્યાં એની સ્પષ્ટતા કર્યા વિના ગવર્નર શક્તિકાંત દાસે સ્પષ્ટતા કરી હતી કે નિયમના પાલનના અભાવે પેટીએમ સામે પગલાં લેવામાં આવ્યાં છે, એથી સિસ્ટમ સામે કોઈ ખતરો નથી. આપણે અહીં એક ચોક્કસ સંસ્થા, ચોક્કસ પેમેન્ટ બૅન્ક બાબતે વાત કરી રહ્યા છીએ, એમ દાસે રિઝર્વ બૅન્કના વડામથકે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું.

લોન લેનારાઓ માટે કી ફૅક્ટ સ્ટેટમેન્ટ આપવાનું રિઝર્વ બૅન્કે ફરજિયાત બનાવ્યું 
મુંબઈ (પી.ટી.આઇ.) : તમામ વ્યાજખર્ચ સહિત લોન ઍગ્રીમેન્ટની શરતો વિશે તમામ ધિરાણદારો માટે કી ફૅક્ટ સ્ટેટમેન્ટ (કેએફએસ) આપવાનું રિઝર્વ બૅન્કે ફરજિયાત બનાવ્યું છે. એમાં રીટેલ તેમ જ ​એમએસએમઈ લોનનો સમાવેશ છે, એમ રિઝર્વ બૅન્કે ગરુવારે જણાવ્યું હતું. હાલમાં વ્યક્તિગત લોન લેનારા, રિઝર્વ બૅન્ક​ નિયં​​ત્રિત કંપનીઓને ડિજિટલ ​ધિરાણ અને માઇક્રો ફાઇનૅન્સ લોન સંદર્ભે કમર્શિયલ બૅન્કો દ્વારા આપવામાં આવતી લોન માટે કેએફએસ ફરજિયાત છે. વધુ પારદર્શકતા લાવવા તાજેતરમાં રિઝર્વ બૅન્કે અસંખ્ય પગલાંની જાહેરાત કરી હતી, એમ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. તમામ સમાવિષ્ટ વ્યાજખર્ચ સહિત લોન ઍગ્રીમેન્ટ વિશે ધિરાણદારે લોન લેનારને હવે કેએફએસની મહત્ત્વની માહિતી પૂરી પાડવાની રહેશે.

national news reserve bank of india indian economy finance news business news