15 August, 2019 03:54 PM IST | શ્રીનગર
સત્યપાલ મલિક
જમ્મુ-કાશ્મીરમાં લદાયેલા પ્રતિબંધોમાં ૧૫ ઑગસ્ટ બાદ છૂટછાટ આપવામાં આવશે. કલમ ૩૭૦ હટાવાયા બાદ રાજ્યમાં સુરક્ષાવ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે અને ઇન્ટરનેટ તેમજ ફોનસેવા ઠપ છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મિલકે જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ બાદ પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવશે. જોકે નેટ અને ફોનસેવા પૂર્વરત કરવામાં થોડા દિવસો લાગી શકે છે. રાજ્યપાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાજ્યની મુલાકાતે આવવા નિમંત્રણ આપતાં એવું કહીને પરત લઈ લીધું કે રાહુલ પોતાની શરત જમ્મુ-કાશ્મીર આવવા ઇચ્છે છે અને તે શક્ય નથી. રાજ્યપાલે કહ્યું કે રાહુલ પૉલિટિક્સ રમી રહ્યા છે.
રાજ્યપાલે જણાવ્યું કે ૧૫ ઑગસ્ટ બાદ રાજ્યમાં પ્રવેશ તેમ જ બહાર જવા માટેના પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવશે. ફોન તેમજ ઇન્ટરનેટ એ યુવાનોને ગુમરાહ કરવા અને ઉશ્કેરવાનું હથિયાર હોવાનું સત્યપાલ મલિકે જણાવ્યું હતું. અમે દુશ્મનોને એ હથિયાર ત્યાં સુધી નથી આપવા માગતા જ્યાં સુધી સ્થિતિ સામાન્ય બની ન જાય. એક સપ્તાહ અથવા ૧૦ દિવસમાં બધું રાબેતા મુજબ થઈ જશે અને ત્યાર બાદ ધીરે-ધીરે સંચારની છૂટછાટ પણ આપવામાં આવશે.
મલિકજી જણાવો, કાશ્મીરની મુલાકાત ક્યારે લઈ શકું છું : રાહુલ
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. ટ્વિટર પર રાહુલ ગાંધીએ લખ્યું છે કે મલિકજી મારા ટ્વિટર પર મેં તમારો જવાબ જોયો. હું જમ્મુ-કાશ્મીરની યાત્રા કરવા અને ત્યાંના લોકોને મળવા માટે તમારા આમંત્રણનો સ્વીકાર કરુ છું. તેમાં કોઈ પણ શરત નથી. હું ક્યારે આવી શકું છું?
આ પણ વાંચો : વિદેશ જઈ રહેલા શાહ ફૈસલની દિલ્હી ઍરપોર્ટ પર અટકાયત
આમ, રાહુલ ગાંધીએ સત્યપાલ મલિક પર ઇશારા-ઇશારામાં આકરા પ્રહાર કર્યા છે. તેમણે સત્યપાલ મલિકની સરનેમને ‘માલિક’ લખ્યું છે. રાહુલ ગાંધીનો ઇશારો જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ થવા વિશે હતો.