19 June, 2023 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
આજે દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી(Rajiv Gandhi)ના પુત્ર અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધી (Rahul Gandhi)નો જન્મદિવસ છે. રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન, 1970ના રોજ થયો હતો અને આજે તેમની ઉંમર 53 વર્ષ છે.
તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પ્રપૌત્ર છે. રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે તેમનું બાળપણ શરૂઆતમાં દિલ્હી ત્યારબાદ ભારતના રાજકીય કેન્દ્ર અને હિમાલયની ખીણ અને શિવાલિક વચ્ચે સ્થિત એવા દેહરાદૂન શહેરમાં વિતાવ્યું હતું.
રાહુલ ગાંધી એવા દિગ્ગજ પરિવારમાંથી આવે છે જેમણે ભારતીય રાજકીય ઈતિહાસમાં મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ તેમના પરદાદા હતા. તે જ સમયે દેશના પ્રથમ અને એકમાત્ર મહિલા વડા પ્રધાન એવા ઇન્દિરા ગાંધી તેમના દાદી હતા. ઇન્દિરા ગાંધી ખૂબ જ પ્રભાવશાળી અને શક્તિશાળી મહિલા હતા. તેટલું જ નહિ રાહુલ ગાંધી રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર છે. તેઓ ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધીના પૌત્ર છે. ઉલ્લેખનીય છે કે તેમના કાકા સ્વ.સંજય ગાંધી પણ રાજકારણમાં હતા. તેમની કાકી મેનકા ગાંધી અને પિતરાઈ ભાઈ વરુણ ગાંધી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી રાજકારણીઓમાંથી એક છે.
જોકે શરૂઆતના દિવસોમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ક્યારેય મીડિયા સમક્ષ જાહેરમાં રજૂ થયા નહોતા. તેઓનો તેમના પરિવારમાં ખાસ કરીને તેમની માતા સોનિયા ગાંધીની દેખરેખ હેઠળ ઉછેર થયો હતો. રાહુલ ગાંધીનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પૂર્ણ કરવા પર હતું. રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી કરતા મોટા છે. પ્રિયંકાનો જન્મ 12 જાન્યુઆરી, 1972ના રોજ થયો હતો.
રાહુલ ગાંધીએ પ્રથમ 1981 થી 1983 દરમિયાન દિલ્હીની સેન્ટ કોલમ્બા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલી દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈન્દિરા ગાંધીની હત્યા બાદ સુરક્ષાના મામલે રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકાને ઘરે જ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ તેમના જીવનમાં તેમના પરિવારના સભ્યોની હત્યાની જો કોઈ બે મોટી દુર્ઘટનાઓ જોઈ હોય તો તેમાં જ્યારે તેઓ માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમની દાદી એટલે કે ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત જ્યારે તેઓ 21 વર્ષના થયા ત્યારે તેમના પિતા રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ હત્યા કરવામાં આવી હતી.
ગ્રેજ્યુએશન પછી રાહુલે લંડનમાં મોનિટર ગ્રુપની કંપનીમાં ત્રણ વર્ષ કામ કર્યુ હતું.જે બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારત આવ્યા અને એક સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી કંપનીમાં જોડાયા હતા. 2002માં તેઓ મુંબઈ સ્થિત કંપની બેકઓપ્સ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટરોમાંના એક હતા. આ પછી 2004માં રાહુલે સક્રિય રાજકારણમાં પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ માર્ચ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ઉત્તર પ્રદેશના અમેઠીના તેમના પિતા રાજીવ ગાંધીના મતવિસ્તારમાંથી ચૂંટણી લડતા રાહુલ ગાંધીએ જંગી જીત મેળવી હતી. તેમને એક લાખથી વધુ મત મળ્યા હતા. પાર્ટી સચિવાલયોના પુનર્ગઠન દરમિયાન રાહુલ ગાંધીને 24 સપ્ટેમ્બરના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેઓએ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન યુથ કોંગ્રેસની પણ જવાબદારી સંભાળી હતી.
ડિસેમ્બર 2017માં તેમની અડગ મહેનત અને સમર્પણથી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષનું પદ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ 3 જુલાઈ 2019 ના રોજ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ તેઓએ સત્તાવાર રીતે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 19 જૂને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)નો જન્મદિવસ છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. પાર્ટીની યુવા સંગઠન યૂથ દ્વારા `ભારત જોડો યાત્રા`ની યાદોને તાજી કરવામાં આવશે. આ રીતે 19 જૂને રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવાનો નિર્ણય તેમણે લીધો છે.