20 June, 2024 03:13 PM IST | Rajgir | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કૅમ્પસનું લોકાર્પણ કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કૅમ્પસનું લોકાર્પણ કર્યું હતું. આ યુનિવર્સિટી સાથે ભારતની શિક્ષણ વ્યવસ્થાની ઉજ્જવળ ઇતિહાસગાથા જોડાયેલી છે. આ કૅમ્પસની ખાસિયત એ છે કે એ નાલંદાના પ્રાચીન અવશેષોની નજીક છે. નાલંદા યુનિવર્સિટીની સ્થાપના ૧૬૦૦ વર્ષ પહેલાંના મગધ (આજે બિહાર)માં પાંચમી સદીમાં થઈ હતી. ઇતિહાસમાં નાલંદાનું નામ વિશ્વની સૌપ્રથમ રેસિડેન્શ્યલ યુનિવર્સિટી તરીકે નોંધાયેલું છે જેણે ચીન, કોરિયા, જપાન, તિબેટ, મૉન્ગોલિયા, શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના વિદ્વાનોને પણ ભારત આવવા આકર્ષ્યા હતા. આ પ્રાચીન યુનિવર્સિટીમાં દવા, આયુર્વેદ, બૌદ્ધ ધર્મ, ગણિત, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર અને ભારતીય ફિલસૂફી જેવા વિષયોનો અભ્યાસ થતો હતો.
૮મી અને ૯મી સદી દરમ્યાન પાલ વંશના શાસન હેઠળ નાલંદા યુનિવર્સિટીનો વિકાસ થયો હતો. ભારતીય ગણિતશાસ્ત્રી અને શૂન્યના શોધક આર્યભટ્ટ ૬ઠ્ઠી સદી દરમ્યાન નાલંદાના પ્રતિષ્ઠિત શિક્ષકોમાંથી એક હતા. એ સમયે આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો એ આજની IIT કે IIM જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા જેટલું મુશ્કેલ હતું. આ પ્રાચીન શાળા ૧૧૯૦ના દાયકામાં તુર્ક-અફઘાન લશ્કરી જનરલ બખ્તિયાર ખિલજીના આક્રમણનો ભોગ બની હતી. નાલંદામાં લાગેલી આગને લીધે મૂલ્યવાન સંગ્રહો નાશ પામ્યા હતા. વિનાશમાંથી બચી ગયેલી કેટલીક હસ્તપ્રતો હવે લૉસ ઍન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઑફ આર્ટ અને તિબેટના યાર્લુંગ મ્યુઝિયમમાં સચવાયેલી છે.