BJP Foundation Day પર બોલ્યા વડાપ્રધાન મોદી, કહ્યું… ‘લોકશાહીના ગર્ભમાંથી ભાજપનો જન્મ થયો છે’

06 April, 2023 11:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હનુમાન જયંતીના દિવસે ભગવાન હનુમાનને યાદ કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપના `સ્થાપના દિવસ` પ્રસંગે પક્ષના નેતાઓ અને કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા (તસવીર સૌજન્ય : પી.ટી.આઈ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે ભારતીય જનતા પાર્ટી - ભાજપ (Bharatiya Janata Party - BJP)ના ૪૪માં સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ સંબોધનમાં તેમણે કહ્યું કે, ‘ભારત સમુદ્ર જેવા પડકારોને પહોંચી વળવા સક્ષમ છે.’ મોદીએ આ દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ આજના સંબોધનમાં હનુમાન જયંતી (Hanuman Jayanti)ની શુભેચ્છાઓ આપતા કહ્યું હતું કે, ‘આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આજે પણ હનુમાનજીનું જીવન ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. હનુમાનજી દરેક માટે કંઈ પણ કરી શકે છે, પરંતુ પોતાના માટે કંઈ કરતા નથી. જરૂર પડ્યે અઘરા બનવાનો ગુણ પણ તેમની પાસે છે.’

‘ભાજપ સરકાર `સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ`ના મંત્ર સાથે કામ કરી રહી છે. અમે હંમેશા અમારા હૃદય અને કાર્યશૈલીમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સામાજિક ન્યાય અમારા માટે રાજકીય સૂત્રોચ્ચારનો ભાગ નથી, પરંતુ વિશ્વાસની કલમ છે. અમારું સમર્પણ ભારત માતાને છે. અમારું સમર્પણ દેશના કરોડો લોકોને છે. અમારું સમર્પણ દેશના બંધારણ માટે છે. આજે ભાજપ વિકાસ અને વિશ્વાસનો પર્યાય છે, તે નવા વિચારોનો પર્યાય છે અને દેશની વિજય યાત્રામાં મુખ્ય સેવક તરીકેની ભૂમિકા ભજવી રહી છે.’, એમ વડાપ્રધાને ઉમેર્યું હતું.

આ પણ જુઓ - ગુલામ નબી આઝાદે કરી વડાપ્રધાન મોદીની રાજનીતિની પ્રશંસા

નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, ‘અમે સૌ પ્રથમ રાષ્ટ્રના મંત્રને અમારો આદર્શ બનાવ્યો છે. લોકશાહીના ગર્ભમાંથી ભાજપનો જન્મ થયો છે. લોકશાહીના અમૃતથી પોષાય છે અને ભાજપ દેશની લોકશાહી અને બંધારણને મજબૂત કરવાના સમર્પણ ભાવ સાથે દેશ માટે દિવસ-રાત કામ કરી રહી છે. ૪૫ કરોડ ગરીબ લોકોના જન ધન ખાતા કોઈપણ ભેદભાવ વિના ખોલવા એ સામાજિક ન્યાયના ઇન્ક્લુઝિવ એજન્ડાનું જીવંત ઉદાહરણ છે. ૧૧ કરોડ લોકોને શૌચાલય આપવું એ સામાજિક ન્યાય છે. તુષ્ટિકરણ અને ભેદભાવ વિના, ભાજપ સાચા અર્થમાં સામાજિક ન્યાયના હેતુઓને સાકાર કરવા માટે સમાનાર્થી તરીકે ઉભરી આવ્યું છે. ભાજપ સામાજિક ન્યાયને જીવે છે. તેની ભાવનાને શાબ્દિક રીતે અનુસરે છે. ૮૦ કરોડ લોકોને મફત રાશન મળવું એ સામાજિક ન્યાયનું પ્રતિબિંબ છે. ૫૦ કરોડ ગરીબ લોકોને કોઈપણ ભેદભાવ વિના પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવી એ સામાજિક ન્યાયની મજબૂત અભિવ્યક્તિ છે.’

આ પણ વાંચો - PM મોદી અને CM યોગીને મળી જીવલેણ ધમકી, લિસ્ટમાં અન્ય નામ પણ સામેલ, તપાસમાં પોલીસ

‘આજની આધુનિક પરિભાષામાં જે વસ્તુનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે તે છે- કેન ડુ એટીટ્યુડ. જો આપણે હનુમાનજીના સમગ્ર જીવનને જોઈએ તો દરેક પગલા પર કેન ડુ વલણની સંકલ્પ શક્તિએ તેમને સફળતા અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. `કવન સો કાજ કડક જગ મહી, જો નહિ હોય તાત તુમ્હા પાહી` એટલે કે પવનના પુત્ર હનુમાન ન કરી શકે તેવું કોઈ કામ નથી. જ્યારે લક્ષ્મણજી પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજી પોતે આખો પર્વત લઈ આવ્યા હતા. આ પ્રેરણાથી ભાજપ પણ પરિણામ લાવવા માટે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતી આવી છે અને કરતી રહેશે. ભાજપની શરૂઆતથી આજ સુધી જે મહાન વ્યક્તિઓએ પક્ષનું સિંચન કર્યું છે, પાર્ટીને માવજત, સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી છે તેવા નાનામાં નાના કાર્યકરથી લઈને વરિષ્ઠ હોદ્દા સુધી દેશ અને પક્ષની સેવા કરનાર તમામ મહાન હસ્તીઓને હું નમન કરું છું’, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો - PM Narendra Modi:બહુ ઓછા લોકો જાણતા હશે વડાપ્રધાન મોદીની આ દસ ખાસ વાતો, જાણો અહીં

અંતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘ભાજપ એવી પાર્ટી છે જેના માટે દેશ હંમેશા સર્વોપરી રહ્યો છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત જેનો મુખ્ય મંત્ર રહ્યો છે. જ્યારે જનસંઘનો જન્મ થયો ત્યારે અમારી પાસે રાજકીય અનુભવ ન હતો, ન તો સાધન-સંપત્તિ હતી, પરંતુ અમારી પાસે માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા અને લોકશાહીની શક્તિ હતી.’

national news india bharatiya janata party narendra modi