આતંકવાદને આપણી દુનિયામાં સ્થાન નથી

01 October, 2024 03:49 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું... આતંકવાદને આપણી દુનિયામાં સ્થાન નથી

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વિશે ફોન પર વાતચીત કરી હતી અને કહ્યું હતું કે આપણી દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી. આ મુદ્દે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વડા પ્રધાન મોદીએ શાંતિ અને સ્થિરતાની વહેલી પુન: સ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવાની સાથે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં પ્રાદેશિક ઉગ્રતાને અટકાવવા તથા તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. 

લેબૅનનમાં તબાહી જ તબાહી
છેલ્લાં બે અઠવાડિયાંથી ઇઝરાયલે લેબૅનન પર શરૂ કરેલા હુમલામાં આશરે ૧૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૬૦૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રવિવારે થયેલી ઍર-સ્ટ્રાઇકમાં ૧૦૫ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ગઈ કાલના હુમલામાં ૪ લોકોનાં મૃત્યુ થયાં છે. આશરે ૧૦ લાખ લોકો ઘરબારવિહોણા થયા છે.

ફ્રાન્સના ચાર નાગરિકોનાં મોત
ફ્રાન્સે ગઈ કાલે જણાવ્યું હતું કે ઇઝરાયલના હુમલામાં સાઉથ-લેબૅનનમાં ફ્રાન્સની એક મહિલા સહિત કુલ ચાર નાગરિકોનાં મૃત્યુ થયાં છે. ફ્રાન્સના વિદેશપ્રધાન જીન નોએલ બેરટ લેબૅનન પહોંચ્યા છે. ઇઝરાયલની ઍર-સ્ટ્રાઇક બાદ લેબૅનન પહોંચનારા તેઓ પ્રથમ વિદેશી ઉચ્ચ સ્તરીય નેતા છે. 

narendra modi israel iran international news world news