News In shorts: સંસદસભ્યોને સ્પેશ્યલ ભેટ

19 September, 2023 10:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે સંસદસભ્યો જ્યારે નવા સંસદભવનમાં જશે ત્યારે તેમને એક સ્પેશ્યલ બૅગ આપવામાં આવશે,

સંસદસભ્યોને સ્પેશ્યલ ભેટ

સંસદસભ્યોને સ્પેશ્યલ ભેટ

આજે સંસદસભ્યો જ્યારે નવા સંસદભવનમાં જશે ત્યારે તેમને એક સ્પેશ્યલ બૅગ આપવામાં આવશે, જેમાં ભારતનું બંધારણ, સ્મારક સિક્કો અને સ્ટૅમ્પ ઉપરાંત નવા સંસદભવનની માહિતી આપતા પુસ્તકનો સમાવેશ થાય છે.

જૂના સંસદભવનનું શું થશે?

નવી દિલ્હી : આજથી સંસદભવન નવા બિલ્ડિંગમાં શિફટ થઈ રહ્યું છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જૂના બિલ્ડિંગનું શું થશે.? આ બિલ્ડિંગનુ નિર્માણકાર્ય ૧૯૨૭માં પૂર્ણ થયું હતું જે ૯૬ વર્ષ જૂનું છે. સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે જૂની ઇમારતને ધરાશાયી કરવામાં નહીં આવે, પરંતુ એને સસંદના વિવિધ કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવશે. ૨૦૨૧માં યુનિયન હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સ પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે વર્તમાન માળખાને રિપેર કરીને એનો વૈકલ્પિક ઉપયોગ કરાશે. કેટલાંક સૂત્રો એમ પણ કહે છે કે એને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે.

અમેરિકાને હથિયાર વેચવાને કારણે પાકિસ્તાનને મળ્યું બેઇલઆઉટ પૅકેજ?

વૉશિંગ્ટન ઃ પાકિસ્તાનને આઇએમએફ દ્વારા બેઇલઆઉટ પૅકેજ મળવા મામલે આવેલા એક રિપોર્ટે ભારે સનસની મચાવી છે, જેમાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને અમેરિકાને હથિયાર વેચ્યાં હતાં, જેને કારણે એને બેઇલઆઉટ પૅકેજ મળ્યું હતું. અમેરિકાએ આ હથિયાર યુક્રેનને આપ્યાં હતાં, જેથી તે આનો ઉપયોગ રશિયા-યુક્રેનમાં કરી શકે. લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને બેઇલઆઉટ પૅકેજ મળવાનો ઘણો વિરોધ પણ થયો હતો, કારણ કે પાકિસ્તાન સતત દેવું ચૂકવવામાં નિષ્ફળ રહ્યું હતું. અમેરિકાની એક સંસ્થા દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. 

કેરલામાં નિપાહ વાઇરસનો કોઈ નવો કેસ નહીં 

નવી દિલ્હી ઃ હાલની પરિસ્થિતિને પહોંચી વળવા કેરલામાં નિપાહ વાઇરસના સર્વેલન્સ માટે રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા અને કેરલા સરકારની એક મહત્ત્વની બેઠક મળી હતી. દરમ્યાન કેરલાનાં હેલ્થ મિનિસ્ટર વીણા જ્યોર્જે કહ્યું હતું કે ભારે અસર ધરાવતા વિસ્તારમાંથી ગઈ કાલે ૬૫ નમૂનાઓ ચેક કરાયા હતા, જેમાં એક પણ પૉઝિટિવ કેસ મળ્યો નથી. સૂત્રો મુજબ આ ​બેઠકમાં કેન્દ્રની ટીમે સર્વેલન્સ, આઇઈસી મટીરિયલ, ટેસ્ટિંગ અને કૉન્ટૅક્ટ ટ્રેસિંગ જેવી ટેક્નિકલ સલાહ આપી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્ય તેમ જ જિલ્લા તંત્ર સાથે નિયમિત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ છે. નિપાહ વાઇરસ ફાટી નીકળવાની પ્રથમ પુષ્ટિ ૧૧ સપ્ટેમ્બરે નોંધવામાં આવી હતી અને કુલ ૬ કેસ નોંધાયા છે. કુલ ૧૨૩૩ સંપર્કો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાંથી ૩૫૨ને ઉચ્ચ જોખમવાળા સંપર્કો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

બરેલીમાં મંદિરમાં નમાજ માટે ઉશ્કેરનાર મૌલવીની ધરપકડ

બરેલી ઃ યુપીના બરેલીમાં મંદિરમાં નમાજ પઢવા બદલ મા-દીકરીની ધરપકડ કરવામાં આવી હતી. માતા સબીના અને દીકરી નઝીરાએ ગામલોકોની સામે કહ્યું કે સૈયદપુરના મૌલવી ચમન શાહે તેમને ઉશ્કેર્યા હતા. તેમણે કહ્યું હતું કે મંદિરમાં નમાજ પઢશો તો પારિવારિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. એના આધારે માતા, 
પુત્રી અને મૌલવી વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના ષડ્યંત્ર હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો.

ભારતનું સૂર્યયાન આદિત્ય L1 વૈજ્ઞાનિક માહિતી મોકલવા લાગ્યું

શ્રીહરિકોટા: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ ગઈ કાલે જાહેરાત કરી હતી કે આદિત્ય L1 સુપ્રા થર્મલ અને એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (સ્ટેપ્સ) ઉપકરણથી લેવાયેલા વૈજ્ઞાનિક ડેટાનું એકત્રીકરણ કરી રહ્યું છે. સ્ટેપ્સ ઉપકરણ સુપ્રા થર્મલ અને એનર્જેટિક આઇકોન્સ અને ઇલેક્ટ્રોન પૃથ્વીથી ૫૦,૦૦૦ કિમીના અંતરે આ માપણી શરૂ કરી છે. ઇસરોએ જણાવ્યું હતું કે આ સ્ટેપ્સ માપન આદિત્ય L1 મિશનના ક્રૂઝ તબક્કા દરમ્યાન ચાલુ રહેશે, કારણ કે એ સૂર્ય-પૃથ્વી L1 બિંદુ તરફ આગળ વધે છે. સ્ટેપ્સ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સક્રિય કરવામાં આવ્યું હતું, જ્યારે આદિત્ય L1 પૃથ્વીથી ૫૦,૦૦૦  કિલોમીટર દૂર હતું. આ અંતર પૃથ્વીની ત્રિજ્યાના ૮ ગણા કરતાં વધુ છે જે એને પૃથ્વીના રેડિયેશન પ્રદેશની બહાર રાખે છે. સ્ટેપ્સ એ અમદાવાદમાં સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર (એસએસી)ની મદદથી ફિઝિકલ રિસર્ચ લૅબ (પીઆરએલ) દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.

national news gujarati mid-day new delhi