05 July, 2024 02:27 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામમંદિરના પૂજારીઓને નવો યુનિફોર્મ
અયોધ્યા રામમંદિરના પૂજારીઓને નવો યુનિફૉર્મ આપવામાં આવ્યો છે. આ સાથે જ ઘણા સખત નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં મોબાઇલનો ઉપયોગ પણ તેઓ નહીં કરી શકે. અત્યાર સુધી રામમંદિરના પૂજારીઓ ભગવાં કપડાં પહેરતા હતા, પરંતુ હવે તેમને યલો યુનિફૉર્મ આપવામાં આવ્યો છે અને તેમણે પાઘડી પણ પહેરવી પડશે. પહેલી જુલાઈથી લાગુ થયેલા આ નિયમ અનુસાર હવે પૂજારીઓએ યલો એટલે કે પીતાંબરી ધોતીની સાથે મૅચિંગ કુરતા અને પાઘડી પહેરવાનાં છે. નવા પૂજારીઓ એટલે કે જેમને પાઘડી બાંધતાં નથી આવડતી તેમને એ માટે ટ્રેઇનિંગ પણ આપવામાં આવી રહી છે. રામ મંદિરમાં ચીફ પૂજારી છે અને તેમના ચાર અસિસ્ટન્ટ પૂજારી છે. આ દરેક અસિસ્ટન્ટ પૂજારીના પાંચ-પાંચ ટ્રેઇની પૂજારી છે. આ દરેક પૂજારીની ટીમ પાંચ-પાંચ કલાકની શિફ્ટમાં મંદિરમાં સેવા કરે છે. સવારે સાડાત્રણ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી મંદિરમાં તેઓ સેવા કરે છે.