નવી સરકારની શપથવિધિ પણ થઈ નથી એ પહેલાં અગ્નિપથ યોજના વિશે ફેરવિચારણા કરવા BJPના સાથીપક્ષોની માગણી

07 June, 2024 01:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નીતીશની પાર્ટીએ કહ્યું કે અમે જાતિઆધારિત વસ્તીગણતરી માટે પણ પ્રયાસ કરીશું

ફાઇલ તસવીર

નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની સરકારની શપથવિધિ પણ થઈ નથી ત્યાં જૂની સરકારની યોજનાઓની સમીક્ષાની માગણી શરૂ થઈ ગઈ છે. BJPના સાથીપક્ષ જનતા દળ-યુનાઇટેડ (JD-U)એ અગ્નિપથ યોજના મુદ્દે ફેરવિચારણા કરવાની અપીલ નવી બનનારી સરકારને કરી દીધી છે. JD-Uના નેતા કે. સી. ત્યાગીએ ગુરુવારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે ‘અગ્નિપથ યોજનાની સમીક્ષા થાય એ જરૂરી છે. આ યોજનાને લઈને યુવાનોમાં ઘણો આક્રોશ છે. આ યોજના હેઠળ ભારતીય સૈન્યમાં ચાર વર્ષ માટે અગ્નિવીર નામે ઓળખાતી પોસ્ટ પર જવાનોની ભરતી કરવામાં આવે છે.’

સાથે જ કે. સી. ત્યાગીએ દેશભરમાં જાતિઆધારિત વસ્તીગણતરીની પણ તરફેણ કરી હતી. ઉલ્લેખનીય છે કે નીતીશકુમારની સરકારે દેશમાં પહેલી વાર બિહારમાં જાતિઆધારિત વસ્તીગણતરી કરાવી હતી.

પJD-Uની જેમ જ બિહારની લોક જનશક્તિ પાર્ટી (LJP) પણ અગ્નિપથ યોજનાનો રિવ્યુ કરવાની તરફેણમાં છે. લોકસભાની ચૂંટણીમાં પાંચેપાંચ બેઠક જીતનારા LJPના પ્રેસિડન્ટ ચિરાગ પાસવાને કહ્યું હતું કે ‘આપણે એ જોવું જોઈએ કે અગ્નિપથ સ્કીમથી શું અને કેટલું હાંસલ કરી શકવાના છીએ, કારણ કે આ યોજના આપણા દેશના યુવાનો સાથે જોડાયેલી છે. આનો રિવ્યુ થવો જોઈએ, પણ જ્યાં સુધી સરકારની સ્થાપના ન થાય ત્યાં સુધી એને હોલ્ડ પર રાખી શકાય એમ છે. ત્યાર બાદ અમે બેસીને આ બાબતે ચર્ચા કરી શકીએ છીએ.’

national democratic alliance janata dal united rashtriya janata dal national news