નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં લાલુ-રાહુલને માર્યો ટોણો

13 April, 2024 05:13 AM IST  |  Jammu-Kashmir | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં લાલુ-રાહુલને માર્યો ટોણો, વિપક્ષના માણસો પબ્લિકને ચીડવવા જ શ્રાવણમાં મટન બનાવીને વિડિયો પોસ્ટ કરે છે

ગઈ કાલે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં યોજાયેલી ચૂંટણીસભામાં નરેન્દ્ર મોદી.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં શુક્રવારે નરેન્દ્ર મોદી નવા મુદ્દાઓ સાથે વિરોધ પક્ષના નેતાઓ પર વરસ્યા હતા. તેમણે કૉન્ગ્રેસ અને વિપક્ષની અન્ય પાર્ટીઓની તુલના ‘મોગલો’ સાથે કરતાં કહ્યું કે ‘તેમને મંદિરમાં તોડફોડ કરવામાં મજા આવે છે. તેઓ શ્રાવણ મહિનામાં મટન પકાવીને એનો વિડિયો પોસ્ટ કરીને બહુમતી સમુદાયને ચીડવવાનું કામ કરે છે.’ 

મોદીનો સંદર્ભ ગયા વર્ષે લાલુ 
પ્રસાદ અને રાહુલ ગાંધીની મુલાકાત સંદર્ભનો હતો. શ્રાવણ મહિનામાં યોજાયેલી આ મુલાકાતમાં લાલુ પ્રસાદના ઘરે રાહુલ ગાંધી માટે મટન બનાવવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘તમે જોયું હશે કે રામમંદિર માટે કૉન્ગ્રેસને કેટલી નફરત છે. મંદિરનો ઉલ્લેખ થતાં જ કૉન્ગ્રેસ અને તેમની સમગ્ર ઇકોસિસ્ટમ હચમચી જાય છે. તેઓ કહે છે કે રામમંદિર ભારતીય જનતા પાર્ટી (BJP) માટે ચૂંટણીનો મુદ્દો છે. જોકે સાચી વાત એ છે કે મંદિર ક્યારેય BJP માટે મુદ્દો નહોતો અને ક્યારેય બનશે પણ નહીં.’ નરેન્દ્ર મોદી કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ માટે પ્રચાર કરી રહ્યા હતા.

narendra modi jammu and kashmir rahul gandhi lalu prasad yadav Lok Sabha Election 2024 Lok Sabha national news