21 September, 2024 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફૂડ-પાર્સલ અને હોમ ડિલિવરીને કારણે આપણો સમય તો બચી જાય છે, પણ પૅકિંગ કરેલા ફૂડની સાથે-સાથે આપણે ૩૬૦૦ જેટલાં રસાયણો પણ પેટમાં ઠાલવી દઈએ છીએ એ ગંભીર અને જીવલેણ વાતથી આપણે સૌ અજાણ છીએ. ઝ્યુરિકના NGO ફૂડ પૅકેજિંગ ફોરમ ફાઉન્ડેશન સાથે જોડાયેલા ગિરબિટ ગેઉકેનો એક અભ્યાસલેખ જર્નલ ઑફ એક્સપોઝર સાયન્સ ઍન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિયોલૉજી મૅગેઝિનમાં પ્રકાશિત થયો છે. એમાં આ ચોંકાવનારી વાત લખાઈ છે. ૩૬૦૦ કેમિકલમાંથી ૧૦૦ જેટલાં રસાયણને ‘માનવસ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતા’નું કારણ ગણાવ્યાં છે. તેમણે વાનગીઓના સંપર્કમાં આવનારાં ૧૪,૦૦૦ રસાયણની યાદી બનાવી છે. આ રસાયણો પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ કે અન્ય સામગ્રીમાંથી બનેલા પૅકિંગ મટીરિયલ સાથે ભોજનમાં ભળી જાય છે. આ રસાયણો કન્વેયર બેલ્ટ કે વાસણોથી પણ આવી શકે છે.