03 October, 2024 08:46 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર
આજથી પવિત્ર નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું હોવાથી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે નવ દિવસ માટે રામનગરી અયોધ્યામાં માંસના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય શરાબના વેચાણ પર પણ નિયંત્રણો મૂકી દીધાં છે. આ નિર્ણય ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, ૨૦૦૬ હેઠળ લેવામાં આવ્યો છે. શાંડિલ્ય નવરાત્રિ પર્વ આજથી શરૂ થઈને ૧૧ ઑક્ટોબર સુધી ચાલશે. હિન્દુઓ માટે શક્તિની ઉપાસનાના આ નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
આ નિર્ણય હેઠળ શરાબનું વેચાણ પણ માત્ર થોડા કલાકો માટે જ કરવામાં આવશે. ગેરકાયદે શરાબ વેચતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ધાર્મિક સ્થળો પાસે આવેલી દુકાનોને બંધ રાખવામાં આવશે અને તેઓ શરાબનું વેચાણ નહીં કરી શકે. ગુનો કરનારા લોકો સામે સખત પગલાં લેવામાં આવશે. નવરાત્રિથી છઠપૂજા સુધીના તહેવારોમાં પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે અને પ્રતિબંધાત્મક પગલાં લેવાની પણ છૂટ અપાઈ છે.
ધાર્મિક સ્થળો પર ખાસ બંદોબસ્ત
ઉત્તર પ્રદેશમાં આવેલાં ધાર્મિક સ્થળો જેવાં કે મિર્ઝાપુરમાં મા વિંધ્યવાસિનીધામ, સહારનપુરમાં મા શાકમ્ભરી મંદિર, વારાણસીમાં વિશાલાક્ષી મંદિર અને બલરામપુરમાં મા પાટેશ્વરીધામ મંદિર અને આસપાસના પરિસરમાં વધારાનો પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.