19 February, 2025 07:06 AM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
મમતા બેનર્જી (ફાઇલ તસ્વીર)
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાકુંભ પર અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભામાં કહ્યું કે મહાકુંભ હવે `મૃત્યુ કુંભ`માં ફેરવાઈ ગયો છે. તેમણે યોગી આદિત્યનાથની સરકાર પર આકરો પ્રહાર કરતાં આરોપ લગાવ્યો કે મહાકુંભમાં VVIP લોકો માટે ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જ્યારે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, તેમણે મહાકુંભમાં થયેલી નાસભાગના મામલે પણ ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે ત્યાં ભીડને નિયંત્રિત કરવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.
મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું, "આ `મૃત્યુ કુંભ` છે. હું મહાકુંભનો સન્માન કરું છું, હું પવિત્ર ગંગા માતાનું પણ સન્માન કરું છું, પરંતુ અહીં કોઈ યોગ્ય યોજના નથી, કેટલાં લોકોનો બચાવ થયો છે? અમીર અને VVIP લોકો માટે એક લાખ રૂપિયા સુધીના ટેન્ટની સુવિધા છે, પરંતુ ગરીબ લોકો માટે અહીં કોઈ વ્યવસ્થા નથી. મેળામાં નાસભાગ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ તેને રોકવા માટે વ્યવસ્થા કરવી ખૂબ જ અગત્યની છે. શું સરકારે તેના માટે કઈ યોજના બનાવી છે?”
પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા અંગે ભાજપ સરકારની ટીકા કરી. તેમણે કહ્યું કે મહાકુંભ હવે `મૃત્યુ કુંભ`માં ફેરવાઇ ગયું છે. મંગળવારે, મમતા બેનર્જીએ વધુ એક ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપના વિધાયકો દ્વારા તેમના પર "બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે મળી જવાનો" આરોપ લગાવવામાં આવ્યો છે, જે અંગે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરશે.
આ ઉપરાંત, મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ ધર્મનો ઉપયોગ રાજકીય હિતો માટે કરે છે. મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધ્યું કે તેઓ રાજકીય હિતો માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે ભાજપના ધારાસભ્યોને લોકોમાં ભેદભાવ અને નફરત ફેલાવવાનો અધિકાર મળે." પશ્વિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ વધી રહી છે અને એ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી જવાબદાર છે. આ પરિસ્થિતિનો જવાબ આપતાં, મમતા બેનર્જીએ ભાજપને પડકાર આપ્યો કે જો તેઓ તેમની પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ સાથે સંબંધ હોવાનો પુરાવો આપી શકે, તો તેઓ તાત્કાલિક રાજીનામું આપી દેશે.
ભાજપે મમતા બેનર્જીના `મૃત્યુ કુંભ` નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમને `હિન્દુ વિરોધી` કહીને કટાક્ષ કર્યો છે. ભાજપના નેતાઓએ આ નિવેદનની નિંદા કરી છે અને કહ્યું છે કે આ હિન્દુઓની લાગણીઓ સાથે રમવા જેવું છે. મહાકુંભને `મૃત્યુ કુંભ` કહેવું મૌલિક માન્યતાઓનું અપમાન છે.