29 January, 2025 09:43 PM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (તસવીર: પીટીઆઇ)
પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી નાસભાગની ઘટનામાં મૃતકનો અંડકો વધીને 30 થઈ ગયો છે અને 60 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને હવે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તપાસ માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. નાસભાગ વિશે વાત કરતી વખતે સીએમ યોગીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. સીએમ યોગીએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. ભક્તોના મૃત્યુથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ હૃદયદ્રાવક ઘટના છે. આ ઘટનાથી જેમના સગાસંબંધીઓ પ્રભાવિત થયા છે, તે બધા પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. તેમણે એમ કહ્યું કે અમે ગઈ રાતથી મેળાના અધિકારીઓ અને પોલીસ વહીવટીતંત્રના સંપર્કમાં છીએ, અને જે પણ વ્યવસ્થા થઈ શકે તે કરી લેવામાં આવી છે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર વતી, અમે આ ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકોના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ જાહેર કરી રહ્યા છીએ. ન્યાયિક પંચ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને સમયમર્યાદામાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. આ સંદર્ભમાં, મુખ્ય સચિવ અને ડીજીપી પોતે એક વાર પ્રયાગરાજની મુલાકાત લેશે અને જરૂર પડ્યે તે બધા મુદ્દાઓની તપાસ કરશે.
આ ઘટના હૃદયદ્રાવક છે: સીએમ યોગી
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે આ ઘટના હૃદયદ્રાવક છે. અમે એવા તમામ પરિવારો પ્રત્યે ઊંડા સંવેદના વ્યક્ત કરીએ છીએ જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અમે ગઈ રાતથી વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છીએ. ફેર ઓથોરિટી, પોલીસ, વહીવટ, NDRF, SDRF અને અન્ય તમામ વ્યવસ્થાઓ ત્યાં તહેનાત કરવામાં આવી છે.
`પ્રયાગરાજમાં ૩૬ લોકોની સારવાર ચાલી રહી છે`
સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે મૌની અમાવસ્યા પર પવિત્ર સ્નાન કરવા માટે ગઈકાલે સાંજે 7 વાગ્યાથી પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. અખાડા માર્ગ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, અકસ્માતમાં 90 થી વધુ લોકો ઘાયલ થયા અને 30 લોકોના મોત થયા હતા. પ્રયાગરાજમાં 36 લોકોની સારવાર ચાલી રહી છે, આ ઘટના એટલા માટે બની કારણ કે ભીડે અખાડા માર્ગના બેરિકેડ તોડી નાખ્યા હતા.
એક દિવસમાં આટલા કરોડ લોકોએ કર્યું પવિત્ર સ્નાન
બુધવાર 29 જાન્યુઆરીએ બીજા પવિત્ર શાનના દિવસે, મૌની અમાસ પર પાંચ કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતું. બુધવારે વહેલી સવારે નાસભાગ મચી ગઈ હતી, પરંતુ તે ભક્તોને ઘાટ પર જતા રોકી શક્યા નહીં. ઉત્તર પ્રદેશ માહિતી વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 4.30 વાગ્યા સુધી 5.71 કરોડ લોકોએ ત્રિવેણી જળમાં પવિત્ર સ્નાન કર્યું હતું.