જયપુર પછી લખનઉનો આવ્યો વારો, શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઈ-મેઈલ આવ્યા

13 May, 2024 01:03 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

Lucknow Schools Bomb Threat: લખનઉની જે શાળાઓને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો તે શાળાઓને ખાલી કરાવવાાં આવી છે, પોલીસ તપાસ ચાલુ છે

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી (Delhi) અને જયપુર (Jaipur) બાદ હવે લખનઉ (Lucknow) ની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Lucknow Schools Bomb Threat) આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ધમકી ઈ-મેઈલ મોકલીને આપવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

લખનઉની જે શાળાઓને આ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે તેમાં ગોમતીનગર (Gomtinagar) ના વિરમ ખંડ (Viram Khand) માં આવેલી વિબગ્યોર સ્કૂલ (VIBGYOR School), વિભૂતિખંડ (Vibhutikhand) ની સેન્ટ મેરી સ્કૂલ (St. Mary`s School) અને પીજીઆઈ (PGI) ની એલપીએસ સ્કૂલ (LPS School) નો સમાવેશ થાય છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. લખનઉની ઘણી શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ આ શાળાઓમાં તપાસ માટે પહોંચી છે. હાલ આ તમામ શાળાઓને ખાલી કરાવવામાં આવી છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં આ શાળાઓમાંથી કંઈ જ મળ્યું નથી.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા દિલ્હી-એનસીઆર (Delhi - NDR) ની લગભગ ૧૦૦ શાળાઓમાં બોમ્બ હોવાની માહિતી પણ એક સમાન ઈ-મેઈલ દ્વારા આપવામાં આવી હતી. તે દરમિયાન દિલ્હી પોલીસ (Delhi Police) અને અન્ય ઘણા સ્થળોની પોલીસે તે શાળાઓને ખાલી કરાવી હતી અને તપાસ કરી હતી, પરંતુ શાળાઓની તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી કંઈ મળ્યું ન હતું. બાદમાં નોઈડા પોલીસ (Noida Police) દિલ્હી પોલીસ સાથે મળીને તે ઈ-મેઈલને નકલી ઈમેલ જાહેર કર્યો હતો.

એટલું જ નહીં, આ પહેલા ગત સોમવારે ગુજરાત (Gujarat) ના અમદાવાદ (Ahmedabad) માં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સોમવારે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. દરમિયાન ડીસીપી કંટ્રોલ અમદાવાદ સિટીએ જણાવ્યું હતું કે ગભરાવાની જરૂર નથી, અતિશયોક્તિ કરવાની જરૂર નથી. પાંચથી છશાળાઓને મેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. અમે તપાસ કરી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે, આ ધમકીભર્યો ઈ-મેઈલ જયપુર અને લખનઉની શાળાઓને મોકલવામાં આવ્યો હતો તેના એક દિવસ પહેલા દેશના ઘણા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈ-મેઈલમાં લખવામાં આવ્યું હતું કે, જયપુર, દિલ્હી (Delhi), અમદાવાદ (Ahmedabad), ગુવાહાટી (Guwahati), જમ્મુ (Jammu), લખનૌ (Lucknow), પટના (Patna), અગરતલા (Agartala), ઔરંગાબાદ (Aurangabad), બઘુગરા (Baghugra), ભોપાલ (Bhopal) અને કાલિકટ (Calicut) એરપોર્ટની ઇમારતોમાં વિસ્ફોટક ઉપકરણો લગાવવામાં આવ્યા છે. ઈ-મેઈલમાં એમ પણ લખ્યું હતું કે, થોડા કલાકોમાં બ્લાસ્ટ થશે. આ ઈ-મેઈલને ધમકી ન ગણો. બોમ્બને ડિફ્યુઝ કરો, નહીં તો ઘણા નિર્દોષ લોકો મરી જશે. રવિવારે બપોરે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (Central Industrial Security Force - CISF) ના ઓફિશિયલ આઈડી પર મળેલા ધમકીભર્યા ઈ-મેલને કારણે એરપોર્ટ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એરપોર્ટના દરેક ખૂણે-ખૂણે શોધખોળ કરી હતી અને કંઈ ન મળતાં રાહતનો શ્વાસ લીધો હતો.

lucknow uttar pradesh jaipur rajasthan ahmedabad gujarat new delhi national news