પશ્ચિમ બંગાળના જુનિયર ડૉક્ટરોને સુપ્રીમ કોર્ટની ચેતવણી

10 September, 2024 09:58 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફરજ પર પાછા ફરો, નહીંતર રાજ્ય સરકાર શિસ્તભંગનાં પગલાં લઈ શકશે

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

કલકત્તામાં આર. જી. કર હૉસ્પિટલમાં ૯ ઑગસ્ટે ૩૧ વર્ષની મહિલા ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યા કરી દેવાયા પછી જુનિયર ડૉક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં આ ડૉક્ટરોને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફરજ પર હાજર થવાનું કહ્યું છે. જો તેઓ આ સમયમુદતમાં પાછા નહીં ફરે તો તેમની સામે રાજ્ય સરકાર શિસ્તભંગનાં પગલાં લઈ શકશે.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજોની બેન્ચે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે ડૉક્ટરોની સલામતી માટે ભંડોળ પૂરું પાડ્યું છે અને જિલ્લા કલેક્ટરો દ્વારા એને મૉનિટર કરવામાં આવશે. આમ હવે જુનિયર ડૉક્ટરોએ ફરજ પર પાછા ફરી જવું જોઈએ. તેમણે જે માગી છે એ સુવિધાઓ તેમને આપવામાં આવી છે. જો તેઓ આમ નહીં કરે તો રાજ્ય સરકાર તેમની સામે ભવિષ્યમાં શિસ્તભંગનાં પગલાં લે તો અમે એને રોકી નહીં શકીએ.’

 હડતાળના કારણે સારવાર વિના ૨૩ દરદીઓનાં મૃત્યુ થયાં હોવાનું રાજ્ય સરકારે એક ઍફિડેવિટમાં જણાવ્યું

kolkata national news sexual crime supreme court india