પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ સાથે પાછળથી આવીને માલગાડી અથડાઈ

18 June, 2024 10:46 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

૯ પ્રવાસીનાં મૃત્યુ, ૫૦ જણ ઘાયલ : ગુડ્સ ટ્રેને સિગ્નલ ઓવરશૂટ કર્યું : ટ્રેનો એકમેક સાથે અથડાય નહીં એવી કવચ સિસ્ટમ બંગાળના રૂટ પરની ટ્રેનોમાં નથી

કંચનજંગા એક્સપ્રેસના પાછળના ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા અને માલગાડીનાં કન્ટેનર પણ ખડી પડ્યાં હતાં.

પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ જિલ્લામાં ગઈ કાલે સવારે નવ વાગ્યે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી આવેલી ગુડ્સ ટ્રેને ટક્કર મારતાં ત્રણ રેલવે કર્મચારી સહિત ૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે પચાસથી વધારે લોકો ઘાયલ થયા હતા. ન્યુ જલપાઈગુડી પાસે રંગપાની સ્ટેશન પર આ અકસ્માત થયો હતો.

ગુડ્સ ટ્રેન કંચનજંગા એક્સપ્રેસની પાછળના ભાગે ટકરાઈ હતી જેથી એના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. જોકે છેલ્લા ડબ્બાઓ પાર્સલ અને ગાર્ડનો કોચ હોવાથી મૃત્યુઆંક ઓછો રહ્યો હતો. રેલવે બોર્ડનાં ચૅરમૅન જયા વર્માએ કહ્યું હતું કે અકસ્માત બાદ બચાવકાર્ય પૂર્ણ થયું છે, ઘાયલોને નૉર્થ બંગાળ મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં નુકસાન પામેલા ડબ્બા દૂર કરીને ટ્રેને આગળનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો. કંચનજંગા એક્સપ્રેસ નૉર્થ-ઈસ્ટના સિલ્ચર અને અગરતલાને બંગાળ સાથે જોડે છે અને આ રોજ દોડતી એક્સપ્રેસ ટ્રેન છે. આ ટ્રેન ચિકન નેક તરીકે ઓળખાતા વિસ્તારમાંથી પસાર થાય છે અને અહીં અકસ્માત થતાં એની અસર બીજી ટ્રેનો પર પણ પડે છે. ૧૦ ટ્રેનોના માર્ગ બદલવામાં આવ્યા છે.
રેલવે-મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચવા તેમણે બાઇકની પાછળ બેસીને પ્રવાસ કર્યો હતો.

વળતરની રકમ જાહેર

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા અને ગંભીર ઈજા પામેલા લોકોને ૨.૫ લાખ રૂપિયા તથા સામાન્ય ઘાયલ થયેલી વ્યક્તિઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ, વડા પ્રધાને વ્યક્ત કર્યો શોક
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને ઈજાગ્રસ્તો જલદી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી હતી. વડા પ્રધાને જીવ ગુમાવનારી વ્યક્તિઓના પરિવારજનોને બે લાખ રૂપિયાની અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

ગુડ્સ ટ્રેને સિગ્નલ ઓવરશૂટ કર્યું?
આ અકસ્માત વિશે મળતી માહિતી જણાવે છે કે ગુડ્સ ટ્રેને સિગ્નલ ઓવરશૂટ કર્યું હતું એટલે એ કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટકરાઈ હતી. આને કારણે ગુડ્સ ટ્રેનનો લોકો-પાઇલટ, તેનો અસિસ્ટન્ટ અને કંચનજંગા એક્સપ્રેસનો ગાર્ડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ રૂટ પર ઑટોમૅટિક સિગ્નલ સેક્શન છે અને આ બિઝી રૂટ છે. આથી બની શકે છે કે ગુડ્સ ટ્રેનના લોકો-પાઇલટે સિગ્નલ જોયું નહીં હોય અને ટ્રેન અટકાવી નહીં હોય.

કવચ શું છે?
કવચ એ ઑટોમૅટિક ટ્રેન-પ્રોટેક્શન સિસ્ટમ છે. એમાં કવચ ટ્રેનની સ્પીડ પર કન્ટ્રોલ રાખે છે અને ડ્રાઇવર બ્રેક લગાવવામાં નિષ્ફળ રહે તો એ બ્રેક મારે છે. એના માટે રેલવે-ટ્રૅક પર રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટૅગ લગાવવામાં આવે છે અને આ સિસ્ટમ ઍક્ટિવ હોય તો એક જ ટ્રૅક પર ટ્રેનો હોય તો પાંચ કિલોમીટર પહેલાં ટ્રેનો આપોઆપ અટકી જાય છે. આ સિસ્ટમ લોકો-પાઇલટને સિગ્નલ મોકલે છે.

આ રૂટ પર કવચ સિસ્ટમ ઉપલબ્ધ નથી

ભારતમાં એક જ પાટા પર દોડતી બે ટ્રેનો વચ્ચે ટક્કર થાય નહીં એ માટે દેશમાં જ તૈયાર કરવામાં આવેલી કવચ સિસ્ટમ કંચનજંગા એક્સપ્રેસમાં ઉપલબ્ધ નહોતી. દેશમાં ઘણા વિસ્તારોમાં આ સિસ્ટમ લગાવવાની બાકી છે. રેલવે બોર્ડનાં ચૅરમૅન જયા વર્મા સિંહાએ કહ્યું હતું કે આ વર્ષે ૩૦૦૦ કિલોમીટરના રેલવે-ટ્રૅક પર આ સિસ્ટમ નાખવામાં આવશે જેમાં બંગાળનો નંબર છે. દિલ્હી-ગુવાહાટી વચ્ચે ૬૦૦૦ કિલોમીટરના ટ્રૅકને આ સિસ્ટમ હેઠળ આવતા વર્ષે આવરી લેવામાં આવશે. હાલમાં કવચ ૧૫૦૦ કિલોમીટરના ટ્રૅક પર ઉપલબ્ધ છે. ૨૦૨૨-’૨૩માં બીજા ૨૦૦૦ કિલોમીટરના ટ્રૅકને આવરી લેવાનો પ્લાન છે. આખા દેશમાં ૩૪,૦૦૦ કિલોમીટરના રેલવે-ટ્રૅકને કવચથી સુરક્ષિત કરવામાં આવશે. કવચથી રેલવે-અકસ્માતો રોકી શકાય છે, પણ આ સિસ્ટમ ખર્ચાળ છે.

national news west bengal train accident india