રેલવેએ બદલ્યા નિયમઃ હવેથી ટ્રેનમાં એડવાન્સ બુકિંગ માત્ર ૬૦ દિવસ માટે જ હશે

17 October, 2024 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IRCTC Advance Booking: ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ માટેની સમય મર્યાદામાં ઘટાડો કર્યો, ૧ નવેમ્બરથી લાગૂ થશે નવા નિયમો

પ્રતીકાત્મક તસવીર

મોટા શહેરોમાં કામ અથવા અભ્યાસ માટે ઘરથી દૂર રહેતા લોકોને ઘરે પાછા ફરવાનું મન થાય છે અને આવા સમયે ભારતીય રેલવે (Indian Railways) તેમનો સૌથી મોટો આધાર છે. આપણા દેશમાં હજારો લોકો તેમના ઘરથી દૂર રહે છે, અને રજાઓમાં ઘરે પરત ફરવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવવા માંગે છે, જેના માટે રેલવેએ ૯૦ દિવસ અગાઉ ટિકિટ બુક કરવાની સુવિધા આપી હતી. હવે ટિકિટ બુકિંગની સમય મર્યાદા ઘટાડીને ૬૦ દિવસ કરવામાં આવી છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation)એ નવા નિયમો લાગુ કર્યા છે.

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન – આઇઆરસીટીસીએ જાહેર કરેલી રીલીઝ મુજબ, ભારતીય રેલ્વેએ ટિકિટ બુકિંગ (IRCTC Advance Booking) માટેની સમય મર્યાદા ઘટાડી દીધી છે અને ૧ નવેમ્બર ૨૦૨૪ પછી ટ્રેન ટિકિટનું એડવાન્સ બુકિંગ માત્ર ૬૦ દિવસ આગળ થઈ શકશે. એટલું જ નહીં, સમય મર્યાદાના ૬૦ દિવસમાં મુસાફરીના દિવસનો પણ સમાવેશ કરવામાં આવશે.

રેલવે અનુસાર, આ બદલાયેલ નિયમ ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી બુક કરાયેલી ટિકિટોને અસર કરશે નહીં, જો કે, ARPના ૬૦ દિવસથી વધુની બુકિંગને રદ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ભારતીય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમુક દિવસની એક્સપ્રેસ ટ્રેનો - જેમ કે તાજ એક્સપ્રેસ (Taj Express), ગોમતી એક્સપ્રેસ (Gomti Express) વગેરે - જ્યાં એડવાન્સ રિઝર્વેશન માટેની ટૂંકી સમય મર્યાદા હાલમાં લાગુ છે તેવા કિસ્સામાં નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ સિવાય વિદેશી પર્યટકો માટે રાખવામાં આવેલી ૩૬૫ દિવસની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

અત્યાર સુધીની વ્યવસ્થા અનુસાર મુસાફરો ચાર મહિના અગાઉથી પોતાની સીટ આરક્ષિત કરી શકે છે. તત્કાલ ટિકિટ મુસાફરીની તારીખના એક દિવસ પહેલા બુક કરી શકાય છે. 3 એસી સાથે અપર ક્લાસ માટે બુકિંગ દરરોજ સવારે ૧૦ વાગ્યા પછી શરૂ થાય છે જ્યારે સ્લીપર તત્કાલ બુકિંગ સવારે ૧૧ વાગ્યાથી શરૂ થાય છે. જો કે, જો ૧ નવેમ્બર પહેલા ટિકિટ બુક થઈ ગઈ હોય, તો એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગના નવા નિયમોની તે બુકિંગ પર કોઈ અસર નહીં થાય. આ વિકાસને પગલે, IRCTC શેર ૨.૨૦ વાગ્યે ૨.૨% નીચામાં રૂ. ૮૬૭.૬૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

IRCTC એ તાજેતરમાં ઘણા ફેરફારો કર્યા છે, જેમાં દરેક પેસેન્જરને કન્ફર્મ બર્થ મળે તેની ખાતરી કરવા માટે આગામી પાંચથી છ વર્ષમાં ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની લાંબા સમયથી ચાલતી સમસ્યાને દૂર કરવાની યોજનાનો સમાવેશ થાય છે.

એક રેલવે સુપર એપ લોન્ચ કરવાની પણ યોજના છે, જેમાં પેસેન્જર ટિકિટ બુકિંગથી લઈને મુસાફરીના આયોજન સુધીની સેવાઓ હશે. રેલવે એઆઈ સક્ષમ કેમેરા લગાવવાની પણ યોજના ધરાવે છે. આ સાથે, ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર દેખરેખ રાખવાની સાથે, ટ્રેનની ઓક્યુપન્સી પર પણ નજર રાખવામાં આવશે.

નોંધનીય છે કે, IRCTC દ્વારા દરરોજ ૧૨.૩૮ લાખ ટિકિટ બુક થાય છે.

indian railways irctc india national news