હાથરસ દુર્ઘટના બાદ ભોલે બાબાનું પહેલું નિવેદન આવ્યું સામે, થોડીવાર ચૂપ રહી કહ્યું કે...

06 July, 2024 11:35 AM IST  |  Varanasi | Gujarati Mid-day Online Correspondent

Hathras Stampede: આ ઇન્ટરવ્યૂ પહેલા બાબાએ 31 સેકન્ડ સુધી મૌન પાળ્યું હતું અને તે બાદ “નારાયણે સાકાર હરિ કી જય” એવું કહીંને નિવેદન આપ્યું હતું.

પાખંડી નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા (ફાઇલ તસવીર)

ઉત્તર પ્રદેના હાથરસમાં બનેલી નાસભાગની દુર્ઘટના (Hathras Stampede) બાદ ફરાર આરોપી સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકાર હરિ ભોલે બાબાનો એક વીડિયો સામે આવ્યો છે. તાજેતરમાં ભોલે બાબાએ મીડિયા સામે આવીને દુર્ઘટના બાબતે વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂ પહેલા બાબાએ 31 સેકન્ડ સુધી મૌન પાળ્યું હતું અને તે બાદ “નારાયણે સાકાર હરિ કી જય” એવું કહીંને નિવેદન આપ્યું હતું. ભોલે બાબાએ હાથરસ દુર્ઘટનાના પાંચમા દિવસે આપેલા તેમના નિવેદનમાં કહ્યું છે કે તેઓ બીજી જુલાઈએ બનેલી ઘટના પર દુઃખ વ્યક્ત કરે છે. હાથરસ અકસ્માતમાં 123 મૃત્યુ માટે જવાબદાર ગણાતા નારાયણ સાકાર હરિની પોલીસ શોધી કરી રહી છે, એવામાં તે મીડિયાને ઈન્ટરવ્યુ આપતો જોવા મળ્યો હતો. ઘટનાના આરોપી ભોલે બાબાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “આ ઘટના બાદ હું ખૂબ જ દુઃખી છું. ભગવાન આપણને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. કૃપા કરીને સરકાર અને વહીવટીતંત્ર પર વિશ્વાસ રાખો. મને વિશ્વાસ છે કે જેણે પણ અરાજકતા ફેલાવી છે તેને બક્ષવામાં આવશે નહીં. મેં મારા વકીલ એપી સિંહ મારફત સમિતિના સભ્યોને વિનંતી કરી છે કે તેઓ શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહે અને જીવનભર તેમને મદદ કરે.

હાથરસમાં બનેલી ભયાનક ઘટનાના પાંચ દિવસ બાદ સૂરજપાલ (Hathras Stampede) પહેલી વખત મીડિયા સામે આવ્યો હતો. આ ઘટના બાદ તે ગાયબ થઈ ગયો હતો. નાસભાગના આ કેસમાં ભોલે બાબાને પણ આરોપી ગણવામાં આવી રહ્યો છે. જો કે એફઆઇઆરમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું નથી એવી પણ માહિતી સામે આવી હતી. ભોલે બાબાને બદલે આ ઘટનામાં કાર્યક્રમનું આયોજન કરનાર દેવપ્રકાશ મધુકરને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો અને હવે પોલીસે તેની ધરપકડ કરી છે. આ પછી ભોલે બાબાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ભોલે બાબા એક ષડયંત્ર વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. પોતાના નિવેદનમાં ભોલે બાબાએ કહ્યું કે પોલીસ અને પ્રશાસન દરેક પાસાઓની તપાસ કરી રહ્યા છે. ખાતરી કરો કે આ ઘટના માટે જવાબદારોને બક્ષવામાં ન આવે.

હાથરસ નાસભાગ કેસના મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરની ધરપકડ (Hathras Stampede) કરવામાં આવી છે. મુખ્ય આરોપીને દિલ્હીના નજફગઢની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુપી એસટીએફની ટીમે તેને હૉસ્પિટલમાંથી જ પકડી પાડ્યો હતો. આ અંગે ભોલે બાબાના વકીલ એપી સિંહે કહ્યું કે મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરની ધરપકડ થઈ છે. STF અને SITની ટીમે તેની ધરપકડ કરી છે. તેનું નિવેદન પણ નોંધાયું છે. એવી અપેક્ષા છે કે તેની ખાસ કાળજી રાખવામાં આવશે. અહીં, બાબાએ દાવો કર્યો છે કે તેમના સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં અસામાજિક તત્વોની ભૂમિકા હતી. તેણે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની વાત પણ કરી છે.

સત્સંગ અકસ્માતની તપાસ (Hathras Stampede) માટે રચાયેલ ત્રણ સભ્યોનું ન્યાયિક પંચ શનિવારે હાથરસ પહોંચશે. આ દરમિયાન, ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા ઉપરાંત, કમિશન જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. આ પહેલા શુક્રવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાથરસ પહોંચ્યા હતા અને પીડિતોની મુલાકાત લીધી હતી. પીડિતો સાથેની વાતચીત દરમિયાન તેઓ આ મામલો લોકસભામાં ઉઠાવશે તેવી ખાતરી પણ આપી હતી.

uttar pradesh national news Crime News rahul gandhi varanasi