22 January, 2024 09:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર અને દક્ષિણ ભારતના પૌરાણિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધને ફરીથી ઝંકૃત કર્યા. ૧૧ દિવસના અનુષ્ઠાનના આરંભ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ ધાર્મિક સ્થળોએ દર્શન–પૂજનની શરૂઆત કરી કે જેનો ભગવાન રામ સાથે સંબંધ છે. નાશિકના કાલારામ મંદિરથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો સંદેશ આપી દક્ષિણનાં અનેક સ્થળોએ દર્શન કર્યાં અને પ્રાણપ્રતિષ્ઠાના એક દિવસ પૂર્વે તામિલનાડુ ધનુષકોટી અને અરિચલ મુનાઈ પહોંચીને રામસેતુના છેડાથી અયોધ્યા સાથે સંબંધોનો ભાવનાત્મક સેતુ બાંધી દીધો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અયોધ્યામાં શ્રી રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા સમારોહના મુખ્ય યજમાન હશે. આ માટે તેમણે ૧૧ દિવસનું યમનિયમ વ્રત રાખ્યું છે. આ આકરા તપ સાથોસાથ તેમણે દેશનાં અલગ-અલગ રાજ્યોમાં વિકાસ પ્રોજેક્ટોની શિલારોપણ વિધિ અને લોકાર્પણ કરતાં એ સ્થળોએ દર્શન–પૂજન નિરંતર કરી રહ્યાં છે કે જેનો પ્રાચીન સંબંધ ભગવાન રામ સાથે છે.
આ ક્રમમાં બે દિવસના તામિલનાડુના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રામેશ્વરમમાં ભગવાન સામે મસ્તક નમાવ્યું. શ્રીરંગનાથ સ્વામી મંદિર અને અરુતમિગુ રામનાથ સ્વામી મંદિરમાં પૂજા–અર્ચના કરી.