હનુમાનજીના આશીર્વાદને લીધે હું જેલમાંથી છૂટી શક્યો છું

11 May, 2024 10:28 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ચૂંટણીપ્રચાર માટે અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી શરતી જામીન મળ્યા છે, બીજી જૂને ફરી જેલમાં જવું પડશે

ગઈ કાલે જેલમાંથી છૂટ્યા પછી સમર્થકોને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલ.

પૂરા પચાસ દિવસ બાદ સુપ્રીમ કોર્ટે આપેલી રાહતને લીધે ગઈ કાલે જામીન પર છૂટેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને સંબોધતાં કહ્યું હતું કે ‘તમે આપેલા આશીર્વાદ બદલ હું તમારા બધાનો આભાર માનું છું. હું સુપ્રીમ કોર્ટના જજનો પણ આભારી છું. આજે હું તેમને લીધે તમારી સામે છું. આપણે દેશને સરમુખત્યારશાહીથી બચાવવાનો છે. હનુમાનજીના આશીર્વાદને લીધે હું જેલમાંથી છૂટી શક્યો છું. શનિવારે સવારે હું કનૉટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરે દર્શન કરવા જવાનો છું.’

ગઈ કાલે આમ આદમી પાર્ટી (AAP)ના ચીફને લેવા માટે તિહાડ જેલની બહાર તેમનાં પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા આતિશી તથા સૌરભ ભારદ્વાજ હાજર રહ્યાં હતાં. AAP તરફથી કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન દિલ્હી સહિત આખા દેશમાં AAP અને ઇન્ડિયા બ્લૉક માટે પ્રચાર કરશે.

લોકસભાની ચૂંટણીમાં AAPના ઉમેદવારોના પ્રચાર માટે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. જોકે ચૂંટણી પૂરી થાય એ પછી તરત જ બીજી જૂને કેજરીવાલે તિહાડ જેલમાં હાજર થવું પડશે એમ કોર્ટે જણાવ્યું હતું. સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીનો છેલ્લો તબક્કો પહેલી જૂને પૂરો થાય છે.
સુપ્રીમ કોર્ટે જામીન આપતી વખતે નોંધ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી તે અહીં દિલ્હીમાં જ હતા, તેમની ધરપકડ ચૂંટણીની પહેલાં કે પછી પણ કરી શકાતી હતી; જે હોય તે, આ ૨૧ દિવસથી કોઈ ફરક નહીં પડે.

કેજરીવાલના વકીલોએ કેજરીવાલના જામીન ચૂંટણીપ્રક્રિયા પૂરી થાય અને નવી સરકાર રચાઈ જાય ત્યાં સુધી એટલે કે જુલાઈ મહિના સુધી માગ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજીઓની સુનાવણી આવતા અઠવાડિયે થશે.

કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ સુપ્રીમ કોર્ટમાં એક ઍફિડેવિટ નોંધાવીને જણાવ્યું હતું કે ચૂંટણીપ્રચાર કરવો એ કોઈ મૌલિક, બંધારણીય કે કાનૂની અધિકાર નથી. EDએ ૨૧ માર્ચે અરવિંદ કેજરીવાલની દિલ્હી શરાબ કૌભાંડમાં ધરપકડ કરી હતી.

કઇ શરતો પર જામીન?

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે અમુક શરતોને આધીન જામીન આપ્યા છે. આ સમય દરમ્યાન તેઓ મુખ્ય પ્રધાન કાર્યાલય તેમ જ દિલ્હી સેક્રેટેરિયેટમાં નહીં જઈ શકે એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે એવી ફાઇલ પર જ સહી કરવાની રહેશે જે તેમની સહી વગર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) માટે ક્લિયર કરવી શક્ય નહીં હોય. આ સિવાય કોઈ પણ ફાઇલ પર સહી કરવાની કોર્ટે છૂટ નથી આપી.

national news arvind kejriwal aam aadmi party supreme court delhi news