મોબાઇલ પર મૅચ જોવાના ચક્કરમાં બન્ને ડ્રાઇવરે તોડ્યાં બે સિગ્નલ

04 March, 2024 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમિશનર્સ ઑફ રેલવે સેફ્ટી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસનો રિપોર્ટ હજી જાહેર કરવામાં આવ્યો નથી

આંધ્રપ્રદેશ ટ્રેન અકસ્માતની તસવીર

આંધ્ર પ્રદેશમાં ગયા વર્ષે ૧૪ પ્રવાસીઓના જીવ લેનારા અકસ્માતનું કારણ છેક હવે બહાર આવ્યું છે. રેલવેપ્રધાનનું કહેવું છે કે આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય એ માટે અમે ખાસ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી રહ્યા છીએ. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે આંધ્ર પ્રદેશમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં થયેલી ટ્રેન-દુર્ઘટનાનું કારણ દર્શાવતાં કહ્યું હતું કે ટ્રેનનો ડ્રાઇવર અને અસિસ્ટન્ટ ડ્રાઇવર ફોન પર ક્રિકેટમૅચ જોવામાં વ્યસ્ત હતા. ૨૦૨૩ની ૨૯ ઑક્ટોબરે આંધ્ર પ્રદેશના વિજયાનગર જિલ્લાના કંટકપલ્લીમાં હાવડા-ચેન્નઈ લાઇન પર સાંજે ૭ વાગ્યે એક પૅસેન્જર ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ૧૪ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં અને ૫૦ લોકો ઘાયલ થયા હતા.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આંધ્ર પ્રદેશમાં ગયા વર્ષે ટ્રેન-અકસ્માત એટલા માટે થયો હતો કારણ કે લોકો-પાઇલટ અને કો-પાઇલટ બન્ને મોબાઇલ પર ક્રિકેટમૅચ જોઈ રહ્યા હતા. રેલવેપ્રધાને વધુમાં જણાવ્યું કે રેલવે વિભાગ એવી સિસ્ટમ ઇન્સ્ટૉલ કરી રહ્યું છે જે આવા કોઈ વિક્ષેપને ડિટેક્ટ કરી શકશે તેમ જ એ સુનિશ્ચિત કરશે કે પાઇલટ અને કો-પાઇલટનું સંપૂર્ણ ધ્યાન ટ્રેન ચલાવવા પર હોય. 

કમિશનર્સ ઑફ રેલવે સેફ્ટી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસનો રિપોર્ટ હજી જાહેર કરવામાં આવ્યો નથી, પણ પ્રાથમિક તપાસમાં પૅસેન્જર ટ્રેનના ડ્રાઇવર અને સહ-ડ્રાઇવરને અકસ્માત માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. તેમણે બે ડિફેક્ટિવ ઑટો સિગ્નલ પાર કરીને ધોરણોનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે આ અકસ્માતમાં બન્નેનાં મૃત્યુ 
થયાં હતાં.

national news central railway western railway andhra pradesh