17 February, 2024 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં ગુરુવારે મોડી રાતે અંદાજે ૩૦૦થી ૪૦૦ લોકોના ટોળાએ એસપી અને ડીસી ઑફિસ પર હુમલો કર્યો હતો. આ ભીડે ત્યાં પથ્થરમારો પણ કર્યો હતો અને એક બસ સહિત ઘણી ગાડીઓને આગ ચાંપી દીધી હતી. આ હુમલાને જોનારાઓનું કહેવું છે કે આ ઘટનામાં બે પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે અને લગભગ પચીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે ચુરાચાંદપુર એસપીએ હેડ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા, જેના વિરોધમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાં સ્થિતિને જોતાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે તેમ જ પાંચ દિવસ માટે ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે હેડ કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર આવતાં એસપી ઑફિસની બહાર ભીડ એકઠી થઈ હતી. એ ભીડે કાર્યાલયનો દરવાજો તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તેમ જ એ હેડ કૉન્સ્ટેબલને ફરી નોકરી પર લેવાની માગણી કરી હતી. કારણ કે તેણે બંકરમાં લીધેલા સેલ્ફી બાબતે આ વિવાદ થયો હતો.