તામિલનાડુમાં અકસ્માતે લીધો ૭ મહિલાઓનો ભોગ

12 September, 2023 01:43 PM IST  |  Tamil nadu | Gujarati Mid-day Correspondent

​કર્ણાટકથી પાછા ફરતાં તામિલનાડુના તિરુપથુરમાં એક ટ્રૉલી-ટેમ્પોએ સ્ટેશનરી વૅનને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પ્રતીકાત્મક તસવીર

તિરુપથુર (પી.ટી.આઇ): ક​ર્ણાટકથી પાછા ફરતાં તામિલનાડુના તિરુપથુરમાં એક ટ્રૉલી-ટેમ્પોએ સ્ટેશનરી વૅનને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કેટલાક લોકોને કચડી નાખતાં ૭ મહિલાઓનાં મૃત્યુ થયાં છે. અન્ય ૧૩ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને એક સરકારી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર તમામ ભોગ બનનાર લોકો ઓનંગુત્તાઈ ગામના એક જૂથનો ભાગ હતા, જેઓ કર્ણાટકના ધરમશાળા એક ટ્રિપ પર જઈ રહ્યા હતા. બૅન્ગલોર-ચેન્નઈ નૅશનલ હાઇવે પર નત્રમપલ્લી પાસે જ્યારે બે વૅનમાં તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે એક વૅનનું ટાયર ફાટ્યું હતું. વૅનચાલક પ્રવાસીઓને નીચે ઊતરવાનું કહીને રિપેરિંગ માટે ગયો હતો. અચાનક બૅન્ગલોર તરફથી પૂરપાટ આવી રહેલા એક ટ્રૉલી-ટેમ્પોએ વૅનને પાછળથી ટક્કર મારતાં વૅન પલટી ગઈ હતી અને સાત મહિલાઓને કચડી નાખી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ મીરા, દેવનાઈ, સીતમલ ઉર્ફે સેલ્વી, દેવકી, સાવિત્રી, કલાવતી અને ગીતાંજલિ તરીકે કરવામાં આવી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે દિલથી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરતાં તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને પ્રત્યેકને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત સારવાર લઈ રહેલા ઘાયલોને મુખ્ય પ્રધાન જાહેર રાહત ભંડોળ દ્વારા ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવશે.

national news tamil nadu road accident