મુંબઈના માર્ગો થયાં પાણી-પાણી! મેટ્રોના કામ દરમિયાન પાણીની પાઈપલાઈન ફાટી

01 December, 2023 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાંદ્રા જોગેશ્વરી વિસ્તારમાં અપૂરતો પાણી પુરવઠો

મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તેની ફાઈલ તસવીર

મુંબઈ (Mumbai) શહેરની ઝડપ વધુ વધારવા માટે ઠેર-ઠેર મુંબઈ મેટ્રો (Mumbai Metro)નું કામ ચાલી રહ્યું છે. પણ આજે આ કામે મુંબઈકર્સ (Mumbaikars)ની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. મેટ્રોના કામને કારણે અંધેરી (Andheri) ઈસ્ટમાં બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ની પાઈપલાઈન ફાટી ગઈ હતી. જેને કારણે આજે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી.

મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ માટે ચાલી રહેલા ખોદકામના કામને કારણે ગુરુવારે રાત્રે અંધેરી ઈસ્ટમાં સીપેજ ગેટ નંબર 3 અને ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ (Indian Oil Petrol Pump) નજીક પાણીની મુખ્ય લાઈન ફાટી ગઈ હતી. જોકે, BMCએ યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કરી દીધું છે. જેના કારણે શુક્રવારે સવારે બાંદ્રા (Bandra)થી જોગેશ્વરી (Jogeshwari) વિસ્તારમાં ઓછા દબાણનો પાણી પુરવઠો હતો. જેના પરિણામે મુંબઈકર્સને પાણીના ધાંધિયા થયા હતા.

વેરાવલી જળાશયના ૧૮૦૦ મીટર વ્યાસના બે ઇનલેટમાંથી એક મુખ્ય ઇનલેટ ગુરુવાર એટલે કે ૩૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ અંધેરી પૂર્વમાં સીપેજ ગેટ નંબર 3 અને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ક્ષતિગ્રસ્ત થયો અને લીક થવા લાગ્યો હતો. પાણીની ચેનલનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે અને યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જેના કારણે આજે એટલે કે, શુક્રવારે પહેલી ડિસેમ્બરે સવારે એચ ઈસ્ટમાં સાંતાક્રુઝ ઈસ્ટ (વાકોલા, પ્રભાત કોલોની વગેરે)માં પાણીનું નીચું દબાણ હતું. જ્યારે સાંતાક્રુઝ વેસ્ટ, ખાર વેસ્ટ, બાંદ્રા વેસ્ટ અને અંધેરી વેસ્ટ (ચાર બાંગ્લા, જુહુ)માં પણ પાણી ઓછું આવ્યું હતું. આ દરમિયાન BMCએ નાગરિકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરી છે.

એક તરફ પરાંમાં પાણીની પાઈપલાઈન ફૂટવાને કારણે પાણીની અછતની સમસ્યા સર્જાઈ હતી તો બીજી તરફ થાણેમાં પણ આજે પાણીકાપ છે. થાણેમાં આજે એટલે કે પહેલી ડિસેમ્બરે ૧૨ કલાક માટે પાણી બંધ રહેશે. શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાથી ર઼્ત્રે ૧૨ વાગ્યા સુધી થાણેમાં પાણી નહીં આવે. મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) દ્વારા બારવી ગ્રેવીટી ચેનલ પરના કટીંગ બ્લોક પર તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવશે તેના પગલે થાણે નગર વિસ્તારમાં દિવા, મુંબ્રા, કાલવા વોર્ડ સમિતિના તમામ ભાગો સાથે વાગલે વોર્ડ સમિતિ રૂપા દેવી પાડા, કિસાનનગર નં. 2, નેહરુનગર, માનપાડા વોર્ડ સમિતિના કોલશેત ખાલચા ગામમાં પણ ૧૨ કલાક પાણી પુરવઠો બંધ રહેશે.

તમને જણાવી દઈએ કે, મુંબઈને દરરોજ ૩૯૫૦ એમએલડી જેટલું પાણી સાત જળાશયો મારફત પૂરું પાડવામાં આવે છે. આ જળાશયો થાણે અને નાશિક જિલ્લામાં આવેલાં છે. પાણી વપરાશકારોને પહોંચતું કરવા માટે ૧૫૦ કિલોમીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે અને પાણીને શુદ્ધ કર્યા પછી લોકોને આ પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.

mumbai metro andheri bandra jogeshwari santacruz mumbai water levels mumbai mumbai news