Watch Video: લાલબાગ ચા રાજાના દર્શન દરમિયાન સ્ટેમ્પિડ જેવી સ્થિતિ

21 September, 2023 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગણેશ ચતુર્થી દરમિયાન લાલબાગ ચા રાજાના દરબારમાં એવી ભીડ હોય છે કે ભલભલાની હાલત બગડી જાય. લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને આ કલાકો ક્યારેય 15-17 કલાક  સુધી પણ વિસ્તરી જાય છે.

લાલબાગ ચા રાજા

ગણેશોત્સવ દરમિયાન મુંબઈમાં ભીડ અને ટ્રાફિક જમા થાય એ કંઇ નવું નથી પણ સમય જતાં આ બાબતોની તીવ્રતા વધી રહી છે. ખાસ કરીને મુંબઈના લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે માત્ર દેશમાંથી નહીં પણ વિદેશથી પણ ભક્તો આવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન લાલબાગ ચા રાજાના દરબારમાં એવી ભીડ હોય છે કે ભલભલાની હાલત બગડી જાય. લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને આ કલાકો ક્યારેય 15-17 કલાક  સુધી પણ વિસ્તરી જાય છે. લાલબાગના રાજાના મંડળના કાર્યકર્તાઓ માટે આવી જબ્બર ભીડને સંભાળવાનું મુશ્કેલ બની જાય છે. ફરી એકવાર આ વર્ષે પણ એવો વીડિયો સામે આવ્યો છે જેમાં લાલબાગના ના રાજાના દરબારમાં ભક્તો સખત ધક્કામુક્કી કરી રહ્યા છે.

મુંબઈના લાલબાગના રાજા દેશના અગ્રણી અને સૌથી લોકપ્રિય ગણપતિઓમાંના એક છે. માનતાના ગણપતિના નામ જાણીતા હોવાને કારણે દર વર્ષે લાખો ભક્તો ગણેશજીના દર્શન માટે અહીં પહોંચે છે.  લાલબાગના રાજા મુંબઈના ગણેશોત્સવનું કેન્દ્ર બિંદુ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આ વર્ષે પણ ભક્તો મોટા સંખ્યામાં આવ્યા અને ફરી એકવાર ગણેશોત્સવના બીજા દિવસે મુંબઈના લાલબાગ ચા રાજાના ગણપતિ પંડાલમાં ભાગાદોડીનો માહોલ ખડો થયો. જે રીતે લોકો એકબીજા સાથે ભીંસાઈ રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભેગા થયેલા ટોળાને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે દયનિય હતી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થયો હતો અને લોકોએ પોતાની શ્રધ્ધા અને આસ્થાને ભીડમાં કચડાતા કેવું અનુભવ્યું હશે તેની તો કલ્પના જ માત્ર કરવી રહી.

ઉલ્લેખનીય છે કે લોકલ ટ્રેન કે બેસ્ટની બસની ગિરદીના સ્થળે એક સમયે પાકીટમારો આંખના પલકારામાં પાકીટ સેરવી લેતા હતા. હવે પાકીટમારોનું સ્થાન મોબાઇલ તફડાવતી ગૅન્ગે લઈ લીધું છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં ભીડભાડના સ્થળે પાકીટ તફડાવવાને બદલે મોબાઇલ સેરવી લેવાની ઘટનામાં વધારો થયો છે. પોલીસના રેકૉર્ડ મુજબ તહેવારોના સમયે બહારગામથી મોબાઇલ તફડાવતી ગૅન્ગ મુંબઈમાં આવે છે અને મુંબઈગરાઓને નિશાન બનાવીને પલાયન થઈ જાય છે. પરેલ, લોઅર પરેલ, ચિંચપોકલી સહિતના વિસ્તારમાં ગણેશોત્સવની મોટા પાયે ઉજવણી થાય છે ત્યારે ગિરદીનો લાભ લઈને બહારગામની ગૅન્ગ લોકોના મોબાઇલ સેરવી લેતી હોવાની ઘટનાઓ બની છે. ગયા વર્ષે એકલા કાલાચૌકી પોલીસ સ્ટેશનની હદમાં જ ગણેશોત્સવ દરમ્યાન ૩૫૦ મોબાઇલ ચોરાયાની ફરિયાદ મળી હતી. આ વર્ષે હજી ગણેશોત્સવની શરૂઆત નથી થઈ ત્યાં જ ચિંચપોકલીમાં એક જ દિવસમાં ૮૯ મોબાઇલ ચોરાઈ ગયા છે. પોલીસે ૬ આરોપીને પકડીને તેમની પાસેથી ૧૨ મોબાઇલ જપ્ત કર્યા છે.

દક્ષિણ મુંબઈમાં એન. એન. જોશી માર્ગ, આગરીપાડા અને કાલાચૌકી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં લાલબાગચા રાજા, પરેલચા રાજા, ચિંચપોકલીચા ચિંતામણિ સહિતનાં અનેક મોટાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળ છે. આ મંડળો દ્વારા મોટા પ્રમાણમાં ગણેશોત્સવનું આયોજન થાય છે અને એમાં દરરોજ હજારોની સંખ્યામાં ગણેશભક્તો દર્શન કરવા પહોંચે છે.

મોટાં ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવ શરૂ થાય એ પહેલાં ૧૦થી ૧૫ દિવસ અગાઉ મોટી મૂર્તિઓને મંડપમાં પધરાવવામાં આવે છે. શનિવારે સાંજથી લઈને રવિવારની વહેલી સવાર સુધી ચિંચપોકલીચા ચિંતામણિ ગણેશોત્સવ મંડળ ગણેશમૂર્તિ લાવ્યું હતું ત્યારે મુંબઈ જ નહીં, બહારગામથી પણ હજારોની સંખ્યામાં આવેલા ગણેશભક્તોએ બાપ્પાનાં દર્શન કર્યાં હતાં. જોકે દર્શન કરતી વખતે ભીડમાં ૮૯ લોકોએ તેમના મોબાઇલ ગુમાવ્યા હતા. આ લોકોએ રવિવારની સવારથી લઈને સાંજ સુધી કાલાચૌકી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસીને ૬ આરોપીને ઓળખી કાઢ્યા બાદ તેમની ધરપકડ કરી હતી અને ૧૨ મોબાઇલ પાછા મેળવ્યા હતા.

ganesh chaturthi lalbaugcha raja lalbaug festivals mumbai news Mumbai