midday

સેન્ટ્રલ રેલવેએ ઘાટ વિસ્તારમાં સેફ્ટી-નેટ બાંધી, પણ...

15 June, 2024 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસામાં મહાબળેશ્વરના ઘાટમાં પથ્થરો ધસી પડવાનું જોખમ તો છે જ
મહાબળેશ્વર જવાના રસ્તામાં વરસાદને લીધે ઘાટ પરથી ગુરુવારે પથ્થર ધસી ગયા હતા.

મહાબળેશ્વર જવાના રસ્તામાં વરસાદને લીધે ઘાટ પરથી ગુરુવારે પથ્થર ધસી ગયા હતા.

ચોમાસું શરૂ થવામાં છે ત્યારે ઘાટ વિસ્તારમાં જમીન કે પથ્થર ટ્રૅક પર ધસી ન આવે એ માટે સેન્ટ્રલ રેલવેએ સેફ્ટી-નેટ બાંધી હોવાનો દાવો કર્યો છે, પણ મુંબઈકરોના સૌથી ફેવરિટ હિલસ્ટેશન મહાબળેશ્વરના ઘાટ વિસ્તારના રસ્તાઓમાં ઉપરના ભાગમાંથી પથ્થર ધસી જવાનું જોખમ કાયમ છે. ગુરુવારે સવારે થોડા વરસાદમાં જ મોટા-મોટા પથ્થર અચાનક રસ્તા પર ધસી આવતાં પોલાદપુર-મહાબળેશ્વરનો એક સાઇડનો રસ્તો બંધ થઈ ગયો હતો. સાતારા અને રાયગડ જિલ્લાને જોડતા મહાબળેશ્વર ઘાટનો આ એકમાત્ર રસ્તો છે. અહીં દર વર્ષે ઘાટમાંથી પથ્થર ધસી આવવાથી વાહનવ્યહાર બંધ થઈ જાય છે. ગયા વર્ષે સહ્યાદ્રિના પહાડોમાં ભારે વરસાદ થવાથી મહાબળેશ્વર-મહાડના રસ્તા પર મોટા પ્રમાણમાં માટી અને પથ્થરો ધસી જતાં આ માર્ગ બંધ થઈ ગયો હતો. એને કારણે ચોમાસામાં મહાબળેશ્વરની મજા માણવા ગયેલા મુંબઈકરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટના બાદ લાગતું હતું કે રેલવેની જેમ મહાબળેશ્વરના ઘાટમાં સેફ્ટી નેટ બાંધીને પથ્થરો રસ્તા પર ધસી ન આવે એ માટેના પ્રયાસ કરવામાં આવશે. જોકે આવા કોઈ પ્રયત્ન નથી કરાયા એટલે આ ચોમાસામાં પણ મહાબળેશ્વરના રસ્તા જોખમી બની શકે છે.  

Whatsapp-channel
mumbai mumbai news mumbai monsoon monsoon mahabaleshwar central railway