26 July, 2024 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉલ્હાસ નદીમાં પૂર આવતાં ડોમ્બિવલીમાં આવી સ્થિતિ જોવા મળી હતી.
થાણે જિલ્લાના બદલાપુર નજીકથી વહેતી ઉલ્હાસ નદીમાં ગઈ કાલે સવારના પૂર આવવાથી બદલાપુર ઉપરાંત ઉલ્હાસનગર, ઠાકુર્લી અને કલ્યાણ-ડોમ્બિવલીમાં જળબંબાકાર થયો હતો. બુધવારે રાતથી શરૂ થયેલા વરસાદને પગલે પહેલેથી આ વિસ્તારોમાં અમુક જગ્યાએ પાણી ભરાયાં હતાં. એમાં ઉલ્હાસ નદીનું પાણી આવતાં આ ચારેય નગરનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. નદીની આસપાસના ભાગમાં લોકો ફસાયા હતા તેમને રબરની બોટમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
બદલાપુર, ઠાકુર્લી, ઉલ્હાસનગર અને કલ્યાણ-ડોમ્બિવલીની સુધરાઈ અને ફાયર-બ્રિગેડના જવાનો જે જગ્યાએથી લોકો ફસાયા હોવાના કૉલ આવ્યા હતા ત્યાં પહોંચી ગયા હતા અને તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. આગામી ૨૪ કલાકમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એટલે કલ્યાણ-ડોમ્બિવલી ઉપરાંત થાણે જિલ્લામાં સ્કૂલ અને કૉલેજમાં રજા જાહેર કરવામાં આવી હતી.