જૈનોની સામૂહિક રથયાત્રા ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોની યાદ અપાવે છેઃ રાજ્યપાલ

23 September, 2024 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રથયાત્રા સમગ્ર દેશને એક રહેવાના અનેક ફાયદાઓના ઉદાહરણરૂપ અને અવિસ્મરણીય બની ગઈ હતી

ગઈ કાલની રથયાત્રામાં ચાલી રહેલા સંગઠનના અગ્રણીઓ, મહિલાઓ તથા બાળકો.

પર્યુષણ પર્વ બાદ જૈન સંઘો દ્વારા ગઈ કાલે સમગ્ર મુંબઈના ૧૨૦૦થી વધુ જૈન સંઘોના શ્રી જૈન સંઘ સંગઠન દ્વારા સાઉથ મુંબઈમાં સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત પાંચમા વર્ષે નીકળેલી આ રથયાત્રામાં જોડાવા અને એનાં દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રાવકો હાજર રહ્યાં હતા. આ રથયાત્રાને પ્રાર્થના સમાજ પાસે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણએ ઝંડી આપી હતી. એમાં મુંબઈના ૨૦૦ જૈન સંઘો જોડાયા હતા. આ રથયાત્રામાં ૧૬ મહાસતીઓ, પરમાત્મા મહાવીરસ્વામીના દસ મહાશ્રાવકો અને દસ મહાશ્રાવિકાઓ જેવી સેંકડો રચનાઓ આંખે ઊડીને વળગે એવી હતી. અચલગચ્છાધિપતિ જૈનાચાર્ય કલાપ્રભસાગરસૂરીશ્વરજી, ભક્તિયોગાચાર્ય યશોવિજયજી મહારાજસાહેબ તેમ જ નારદેવસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ૧૦૦ ઉપરાંત પદસ્થ તેમ જ મુનિભગવંતો અને પૂજ્ય સાધ્વીજીભગવંતોએ હાજર રહીને સમગ્ર રથયાત્રાને ચાર ચાંદ લગાવી દીધા હતા.

મુંબઈ જૈન સંગઠનના પ્રવક્તા નીતિન વોરાએ આ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રથયાત્રાએ જૈન સમાજની એકતાનો ફરી એક વાર ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. આ રથયાત્રા સમગ્ર દેશને એક રહેવાના અનેક ફાયદાઓના ઉદાહરણરૂપ અને અવિસ્મરણીય બની ગઈ હતી. એમાં દક્ષિણ મુંબઈની પાઠશાળાનાં લગભગ ૨૫૦૦ બાળકો અને બાલિકાઓ, પૂજા, સ્નાત્ર, સામાયિક, પૌષધ અને ૧૦૦ ઉપર મહિલા મંડળોએ ભાગ લઈને અલગ-અલગ પ્રકારની રચનાઓના માધ્યમથી અહિંસા, પર્યાવરણ અને અનેકાંતવાદના પ્રભુ મહાવીરના સિદ્ધાંતોને તાદૃશ કર્યા હતા.
રાજ્યપાલે જણાવ્યું હતું કે ‘રથયાત્રા ભગવાન મહાવીરના ઉમદા ઉપદેશોની યાદ અપાવે છે, જેમનું શાણપણ આજે પણ માનવતાને માર્ગદર્શન આપે છે. જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરે અહિંસા, સત્ય અને કરુણાના અમૂલ્ય સિદ્ધાંતો આપ્યા હતા.’ તેમના આ ઉપદેશોને નવી પેઢી સુધી લઈ જવાની તેમણે હાકલ કરી હતી.

mumbai news mumbai jain community gujarati community news gujaratis of mumbai kutchi community