નવી​ મુંબઈમાં પ્રેમિકાની હત્યા કરીને તળાવમાં ઝંપલાવનાર પ્રેમીનો મૃતદેહ મળી આવ્યો

10 August, 2024 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાવિકા મોરે અને પનવેલમાં રહેતો બાવીસ વર્ષનો સ્વસ્તિક પાટીલ બે વર્ષથી પ્રેમ કરતાં હતાં

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના નેરુળના દત્તુ સેઠ પાટીલ તળાવ પાસેના મૅન્ગ્રોવ્ઝમાંથી બુધવારે સાંજે ૧૯ વર્ષની ભાવિકા મોરેનો ગળું દબાવીને હત્યા કરાયેલો મૃતદેહ માછીમારોને મળી આવ્યો હતો. એ સંદર્ભે નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ ચાલુ કરી હતી. એમાં ભાવિકા સાથેના યુવાને તળાવમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળતાં તેના મૃતદેહની શોધ ચલાવવામાં આવી હતી. આખરે ગઈ કાલે પરોઢિયે વાઘોલી વિસ્તારમાં તળાવમાંથી તે યુવકનો મૃતદેહ નવી મુંબઈ ફાયર-બ્રિગેડ અને પોલીસને મળી આવ્યો હતો.

નવી મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ભાવિકા મોરે અને પનવેલમાં રહેતો બાવીસ વર્ષનો સ્વસ્તિક પાટીલ બે વર્ષથી પ્રેમ કરતાં હતાં. બન્ને ટૂ-વ્હીલર પર બુધવારે સાંજે ચાર વાગ્યે તળાવ તરફ જઈ રહ્યાં હોવાનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મળી આવ્યાં હતાં. પોલીસને શંકા છે કે બન્ને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થવાથી સ્વસ્તિકે ભાવિકાનું ગળું દબાવીને તેની હત્યા કરી હશે અને ત્યાર બાદ પોતે પણ આત્મહત્યા કરવા તળાવમાં ઝંપલાવી દીધું હોવું જોઈએ.  

mumbai news mumbai navi mumbai suicide Crime News mumbai crime news mumbai police panvel