27 January, 2025 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વર્ગસ્થ અશોક રાઉળ
થાણેના ભૂતપૂર્વ મેયર અશોક રાઉળનું ગઇકાલે રાત્રે અવસાન (Thane Mayor Ashok raul) થયું છે. 75 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર પાસેથી મળતી માહિતી અનુસાર તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે લડી રહ્યા હતા. હવે તેઓનું અવસાન થતાં જ તેમના સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આજે થશે અંતિમ સંસ્કાર
તમને જણાવી દઈએ કે અશોક રાઉળે (Thane Mayor Ashok raul) એનસીપીમાં જોડાતા પહેલા કોંગ્રેસ સાથે તેઓની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અશોક રાઉળના આજે સવારે ૧૧.૩૦ કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે.
શિવસેના યુબીટીના નેતા રાજન વિચારેએ થાણેના પૂર્વ મેયરના નિધન પર શોક વ્યક્ત કરતાં પોસ્ટમાં લખ્યું હતું કે, "લોક નેતા, વરિષ્ઠ કોર્પોરેટર અને ભૂતપૂર્વ મેયર કે જેમણે થાણેના લોકો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, સ્વર્ગસ્થ અશોક રાજારામ રાઉળ (ભાઈ)ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. ભગવાન તેમના આત્માને શાશ્વત શાંતિ અર્પે”
સંજય વાઘુળેએ શ્રદ્ધાંજલિ પોસ્ટમાં લખ્યું હતું કે, “રાઉળ સાહેબ (Thane Mayor Ashok raul) શાંત, સંયમિત અને અભ્યાસી જનપ્રતિનિધિ તરીકેની ખ્યાતિ ધરાવતા હતા. તેમણે 1991-92માં થાણે શહેરના પાંચમા મેયર તરીકે સેવા આપી હતી. તેઓ સામાન્ય લોકોની સમસ્યાઓથી વાકેફ હતા. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તેમનું ભાષણ લોકપ્રિય રહેતું. ઘણા મહિનાઓ સુધી બીમાર રહ્યા બાદ પણ તેઓ લોકોના પ્રશ્નોના જવાબ આપવા માટે ઉત્સુક હતા. તેઓના જવાથી થાણેના વિકાસ સાથે સંકળાયેલા એક મજબૂત સાથીદાર ગુમાવ્યો. પ્રભુ તેમના આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
કોર્ટે રાઉળને એક સમયે ગેરલાયક ઠેરવ્યા હતા
વર્ષ 2019ની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક અદાલતે ભાજપના કોર્પોરેટર અને ભૂતપૂર્વ મેયર અશોક રાઉળને ગેરલાયક ઠેરવ્યા હતા. શિવસેનાના ઉમેદવાર મંદાર વિચારે ફેબ્રુઆરી 2017માં યોજાયેલી છેલ્લી થાણે સિવિક ચૂંટણીમાં રાઉળ સામે હારી ગયા હતા, ત્યારબાદ તેઓએ પોતાની જીત સામે અરજી કરી હતી.
Thane Mayor Ashok raul: જોઈન્ટ સિવિલ જજ એસ એસ ઈન્દલકરે વિચારેની અરજીને સમર્થન આપ્યું હતું અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 12 ડીમાંથી રાઉળને ગેરલાયક ઠેરવ્યા હતા. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે વિચારે બાકીની ટર્મ માટે વોર્ડ 12 ડીના કોર્પોરેટર તરીકે કારભાર સંભાળશે. વિચારેની અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા તેમના નામાંકન ફોર્મમાં ફોજદારી કેસ જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિચારે તરફથી હાજર થયેલા એડવોકેટ મુનીર અહેમદે કોર્ટને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ફોજદારી કેસ જાહેર ન કરવાથી ગેરલાયક ઠરશે.
થાણેના પ્રથમ મેયર અને શિવસેનાના દિગ્ગજ નેતા સતીશચંદ્ર પ્રધાનની ડિસેમ્બરમાં થઈ હતી વિદાય
શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ અને થાણેના પ્રથમ મેયર સતીશચંદ્ર પ્રધાનનું 29મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રોજ વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં નિધન થયું હતું. શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ અને થાણેના પ્રથમ મેયર સતીશચંદ્ર પ્રધાનની 30 ડિસેમ્બરે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.